25 જુલાઇ, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને અપડેટ રહેવા માટે નીચે આપેલી સ્લાઇડર પર ક્લિક કરતા જાવ...

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના આ વર્ષથી અમલી
ગુજરાત સરકારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકી છે. આજે શિક્ષણ મંત્રીએ પોતાના નિવેદનમાં આ જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દર વરસે 5 હજારથી લઇ 2 લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવામા આવશે. આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવશે. આગામી 15 દિવસમાં આ પોર્ટલ તૈયાર થઇ જશે, અને વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. ખાસ કરીને ઈજનેરી અને ટેકનીકલ અભ્યાસક્રમોમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

ગેસના ભાવ વધતા સુરતની ડાઇંગ મિલોને તાળા વાગશે?
ડાયમંડ સિટી સુરત તેના કાપડ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. જો કે વર્તમાન સમયમાં ગેસની કિંમતો વધતા સુરતના ડાઇંગ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. આ કારણે કરોડોના ખર્ચે બનાવાયેલી ગેસ આધારિત ડાઈંગ મીલોને ગેસના ભાવ ફરી પાછા વધ્યા હોવાથી હવે શું કરવું તે અંગે અસમંજસ છે. આ કારણે ભવિષ્યમાં તેને તાળા વાગે એવી સ્થિતિ ઉભી થઇ છે.

GSPC કેજી બેસીનમાંથી ગેસ ઉત્પાદન માટે સજ્જ નથી
કેજી બેસિન બ્લોકમાંથી નેચરલ ગેસનું ઉત્પાદન કરવા માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી - GSPC)એ હજુ વ્યાપારી ધોરણે ઉત્પાદન માટે તૈયાર નથી. ઉદ્યોગ અને સત્તાવાર સૂત્રો આ માટે ગેસના ભાવ અંગે અનિશ્ચિતતાને જવાબદાર ગણાવે છે. વિધાનસભા ગુજરાતના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે એવી જાહેરાત કરી હતી કે જીએસપીસીએ ઓફશોર કેજી બેસિનમાં ગેસનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું છે. જોકે પટેલે પ્રારંભમાં 2007થી ઉત્પાદન શરૂ થવાની ધારણા હતી તે દીનદયાલ બ્લોકમાંથી વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરવા માટે કોઈ સમયમર્યાદા આપી નહોતી.

તાઇવાનને ગુજરાતમાં સેમી કંડક્ટર્સ પ્રોડકશન ઇન્ડસ્ટ્રીમાં રસ
ગુરુવારે તાઇવાનનું 14 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યા હતા. તાઈવાન-ભારત-ગુજરાત વચ્ચેના પરસ્પર સંબંધોનો સેતુ સુદૃઢ બનાવવા વિચારવિમર્શ કર્યો હતો. આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ તાજેતરમાં રચાયેલા તાઈવાન-ઇન્ડિયા પાર્લામેન્ટરી ફ્રેન્ડઝ ગ્રૂપના નેજા તળે ગુજરાતની મુલાકાતે આવેલું છે. આ જુથે ગુજરાતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા સેમી કંડક્ટર્સ પ્રોડકશન ઇન્ડસ્ટ્રીમાં તાઈવાનના ઉદ્યોગ સંચાલકોના રોકાણો માટે રસ દર્શાવ્યો હતો. આનંદીબહેને આ સંદર્ભમાં ડેલિગેશનને જણાવ્યું કે, ગુજરાતમાં સેમી કંડક્ટર્સ ઉત્પાદન માટે સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં બે સ્થાનોએ વિશાળ અવકાશ છે.

સૌરાષ્ટ્રમાં 2500 જેટલાં બાળકને ગંભીર બિમારી
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર આ ત્રણ જિલ્લાઓની પ્રાથમિક શાળાઓના 2500 જેટલા બાળકોને ગંભીર બિમારી હોવાનું બહાર આવ્યું છે. આ માહિતી વિધાનસભામાં આપવામાં આવી હતી. વર્ષ 2012-13માં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં રાજકોટમાં હૃદયના 252, કિડનીના 54, કેન્સરના 56, ભાવનગરમાં 76 અને સુરેન્દ્રનગરમાં હૃદયના 56, કિડનીના 8 અને કેન્સરના એક કેસનું નિદાન થયું હતું. આમ ત્રણેય જિલ્લામાં લગભગ 859 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર બીમારીથી પીડાતા હતા.

બે વર્ષમાં માનવ અને સિંહો વચ્ચે 125 વાર સંઘર્ષ
ગુરુવારે વિધાનસભામાં વન અને પર્યાવરણ મંત્રીએ ધારાસભ્ય જસુભાઇ બારડના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગીરની અંદર અને બહાર આસપાસના વિસ્તારોમાં માનવ અને વન્યજીવો ખાસ કરીને સિંહો વચ્ચે સંઘર્ષના 125 જેટલા બનાવો નોંધાયા છે. જેમાં 14 લોકોના મોત થયા હતા. 31 મે, 2014ના આંકડાઓ અનુસાર આ સંઘર્ષમાં 113 લોકો ઇજા પામ્યા હતા. જ્યારે 2010ની સિંહોની વસતી ગણતરી અનુસાર કુલ 411 એશિયન સિંહો હતા. જેમાંથી 31 મે, 2014 સુધીના બે વર્ષના ગાળામાં 106 સિહોના કુદરતી મરણ થયા હતા. જ્યારે 4 સિંહો કૂવામાં પડવાથી મૃત્યુ પામ્યા હતા.












Click it and Unblock the Notifications
