For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 જુલાઇ, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને અપડેટ રહો.

gujarat-map-8

દ્વારકાધીશનું મંદિર ગ્લોબલ વોર્મિંગનો શિકાર બન્યું
ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિરને હવે ગ્લોબલ વોર્મિંગની અસર થવા લાગી છે. દરિયા કિનારે આવેલું હોવાથી મંદિરને દરિયાઇ ખારાશની પહેલી અસર થઇ રહી છે. જેના કારણે મંદિરના પ્રાચીન પથ્થરોને કાળા પડવા સહિતની થતી અન્ય માઠી અસરો થઇ રહી છે. આ માટે પુરાતત્વ વિભાગે હવે દર પાંચ વર્ષે મંદિર પર કેમિકલ પ્રક્રિયા કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે મુખ્ય બાંધકામનું રક્ષણ થશે. સામાન્ય રીતે આ પ્રોસેસ 10થી 12 વર્ષ કે 15 વર્ષે કરવામાં આવે છે પરંતુ પ્રદૂષણ વધવાથી તે ગાળો ઘટાડીને પાંચ વર્ષનો કરવામાં આવ્યો છે.

સુરતમાં 50 AC સિટી બસ દોડશે
સુરત મનપાએ માત્ર 5 AC બસોથી કરેલી ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ હવે એસી બસોની સંખ્યા વધારીને 50 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં 5.23 લાખ વીજજોડાણની અરજી પેન્ડિંગ
ગુજરાત વીજ ઉત્પાદનમાં દેશનું સરપ્લસ હોવાના સરકારના દાવાઓ વચ્ચે પણ હજુ ૫.૨૩ લાખથી વધુ ખેડૂતોને વર્ષોથી કૃષિ વીજજોડાણ મળ્યા નથી. સરકાર સરપ્લસ વીજળીને અન્ય રાજ્યોને વેચે છે પરંતુ રાજ્યના લાખો ખેડૂતો હજી પણ વીજળીથી વંચિત છે. આ અંગે રાજ્યના ઉર્જા પ્રધાને વિધાનસભામાં આપેલા જવાબ અનુસાર વીજજોડાણની પડતર અરજીઓ અંગે ઊર્જા પ્રધાને સત્તાવાર રીતે કરેલી કબૂલાત મુજબ ૩૧મી ડિસેમ્બર 2013ની સ્થિતિએ રાજ્યના ૩૩ જિલ્લાઓના ખેડૂતોની એકંદરે 5,23,622 અરજીઓ પડતર છે.

ગુજરાતમાં નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા અપાશે : નીતિન પટેલ
વિધાનસભામાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે ગુજરાતના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકારે નક્કર આયોજન કર્યું છે. આ અંતર્ગત વર્ષ 2014-15 માટે સરકારે રૂપિયા 4,092 કરોડની જોગવાઈ કરી છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે રૂપિયા 1,281 કરોડ વધુ ફાળવવામાં આવ્યા છે. આ અંતર્ગત જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂપિયા 1,822 કરોડની જોગવાઈ છે. ઉપરાંત રાજ્યમાં 16 નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 70 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરવા બજેટમાં રૂપિયા 17 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વડોદરામાં મતદારો માટે સુવિધા કેન્દ્ર શરૂ થશે
વડોદરા શહેરના નર્મદાભવનના સી બ્લોકમાં આવેલા જનસેવા કેન્દ્ર ખાતે ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ કાયમી ધોરણે મતદાર સુવિધા કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ કેન્દ્ર ખાતે વડોદરા શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને કાયમી ધારણે મતદાર યાદીને લગતી સુવિધા મળશે.

ગુજરાતમાં કેબલ ટીવીનો વેરો નગરપાલિકા ઉઘરાવશે
ગુજરાત વિધાનસભામાં ગુજરાત મનોરંજન કર (સુધારા) વિધેયકની ચર્ચામાં પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેબલ કનેક્શનો પરના વેરાની રકમ હવે રાજ્ય સરકારને બદલે મહાનગરપાલિકા, નગરપાલિકા અને 5 કિલોમીટરની ત્રિજયામાં આવેતી ગ્રામ પંચાયતો ઉઘરાવી શકશે. આ કારણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવક રૂપિયા 8થી 9 કરોડ વધશે તેવો અંદાજ છે.

ગુજરાતના દરેક તાલુકામાં અદાલત સ્થપાશે : પ્રદિપસિંહ જાડેજા
રાજ્યના કાયદા અને ન્યાય રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતનો એક પણ તાલુકો અદાલતથી વંચિત નહીં રહે. આ ઉપરાંત પ્રત્યેક જિલ્લામાં જિલ્લા ન્યાયમંદિર તૈયાર કરાશે. ગુજરાત 31.30ના જજ રેશિયા સાથે સમગ્ર દેશમાં બીજા સ્થાને છે. ન્યાય ક્ષેત્રને શ્રેષ્ઠ માળખાકીય સુવિધા પૂરી પાડવા એક વર્ષમાં રૂપિયા 692 કરોડના 158 બાંધકામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં બળાત્કારના બનાવોમાં ચિંતાજનક વધારો
દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ બળાત્કારના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. આ અંગેના આંકડાથી રાજ્ય સરકાર ચિંતિત છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં બળાત્કારના 1440 જેટલા બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા. આ સાથે મહિલાઓને લગતા અન્ય ગુનાઓમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે.

English summary
26 July, 2014 : News highlights of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X