તેરમી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રમાં 278 પ્રશ્નો ચર્ચાયા
પ્રથમ સત્રમાં કૂલ 5692 પ્રશ્નો ગૃહને મળ્યા હતાં જેમાં તારાંકિત પ્રશ્નો 5676, ટુંકી મુદતના 9 અને અડધા કલાકની ચર્ચાવાળા 7 પ્રશ્નોનો સમાવેશ થયેલ હતો. જે પૈકી 3843 તારાંકિત પ્રશ્નો, ટુંકી મુદત- 1 (એક) અને અડધા કલાકનો એક પ્રશ્નને દાખલ કરવામાં આવ્યા હતાં. જયારે 1846 પ્રશ્નોનો નામંજુર કરવામાં આવ્યા અને 278 પ્રશ્નોની ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી.
વિધાનસભાના 28 દિવસના સત્ર દરમિયાન 30 બેઠકો મળી હતી અને 169 સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. 117 કલાક અને 46 મીનીટ જેટલો સમય સત્રમાં લેવાયો હતો. જેમાં પાંચ (5) પોઇન્ટા ઓફ ઓર્ડર ઉપસ્થિત થયેલ હતા અને 10 કિસ્સામાં સભા ત્યાગના બનાવ બનવા પામ્યા હતા.
સત્ર દરમિયાન કૂલ 43,490 જેટલા પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહી નિહાળી હતી જેમાં રાજ્યપાલની ગેલેરીમાં નવ, અધ્યક્ષની ગેલેરીમાં 7719, અતિથિવિશેષ ગેલેરીમાં 2713, પ્રેક્ષક ગેલેરીમાં 2552 તથા 346 ગ્રુપમાં આવેલ શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓમાંથી આવેલા મુલાકાતીઓની સંખ્યા 30497નો સમાવેશ થતો હતો.
આ સત્રમાં કૂલ 16 જેટલા મહાનુભાવોના અવસાન બદલ શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ મહાનુભાવોમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. આઇ.કે. ગુજરાલ, સ્વ.પૂર્વ ગવર્નર કૈલાસપતિ મિશ્ર, સ્વં. પંડિત નવલકિશોર શર્મા તથા પૂર્વ કેન્દ્રીય અને રાજ્ય સરકારના મંત્રીઓ, વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, વિધાનસભ્યોનો સમાવેશ થાય છે.
તેરમી વિધાનસભાના સભ્યોની પક્ષવાર પરિસ્થિતિ જોઇએ તો, ભાજપના-115, કોંગ્રેસના-59, રાષ્ટ્રાવાદી કોંગ્રેસ પાર્ટીના-2, ગુજરાત પરિવર્તન પાર્ટીના-2, જનતાદળ(યુ)ના-1, અપક્ષ-2 અને 4 ખાલી સભ્યોંનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ 2 એપ્રિલ, 2013 સુધીની છે.