300 ગુજરાતી પર્યટકો જમ્મુ કાશ્મીરના પૂરપ્રકોપમાં ફસાયા
અમદાવાદ, 8 સપ્ટેમ્બર : છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારતના જમ્મુ-કશ્મીરના માથે તૂટેલી પૂરપ્રકોપની કુદરતી આફતમાં હજારો લોકો ફસાયા છે અને 150થી વધુના મોત થયા છે. આ કુદરતી આફતમાં ગુજરાતના પણ 300 પર્યટકો ફસાઇ ગયા હોવાના અહેવાલ છે.
ગુજરાત સરકારે દરેક જીલ્લા કલેકટર પાસેથી જમ્મુ-કાશ્મીરમાં ગયેલા અને પાછા નહી ફરેલા લોકોની માહિતી મંગાવી છે જેથી આગળની શોધ ખોળની કાર્યવાહી થઇ શકે. રાજ્ય સરકારના આદેશ બાદ વિવિધ જિલ્લાઓમાંથી આજે બપોર સુધીમાં આવેલ માહિતી મુજબ ગુજરાતના 300 જેટલા લોકો જમ્મુ-કશ્મીરના ઉધમપુર અને અન્ય વિસ્તારમાં ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
ચિંતાજનક બાબત એ છે કે જેટલા લોકો ફસાયા છે તેમાંથી મોટાભાગના સંપર્ક વિહોણા બન્યા છે. રાજય અને કેન્દ્ર સરકાર મદદ માટે પ્રયાસ કરી રહી છે. રાજય સરકારે જરૂર પડી તો પ્લેન અથવા ટ્રેન દ્વારા ફસાયેલા લોકોને પરત લાવવાની તૈયારી રાખી છે.
ફસાયેલા પ્રવાસીઓની વધુ વિગતો જાણવા આગળ ક્લિક કરો...

ગુજરાતના કયા કયા વિસ્તારના લોકો ફસાયા
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આવેલા પુર પ્રકોપમાં ફસાઇ ગયેલા ગુજરાતના અંદાજે 300 પર્યટકો મોરબી, કાલાવાડ, રાજકોટ, ગોંડલ અને ખેડાના હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીના બે પ્રવાસીઓ અટવાયા
જમ્મુ-કાશ્મીરમાં પુર પ્રકોપના કારણે અનેક પ્રવાસીઓ પુરમાં ફસાયા છે. જેમાં મોરબી તાલુકાના ટંકારાના 2 પ્રવાસીઓ જેઓ 'ગોસરા' અને 'બોડા' અટક ધરાવે છે તેઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મોરબીના કલેકટર તેમજ ટુર સંચાલકોનું કહેવું છે કે મોરબીમાંથી કોઇ જમ્મુ કાશ્મીર ફરવા ગયા નથી. આ બન્ને પ્રવાસીઓ રાજકોટથી ટ્રાવેલ્સની ટુરમાં જમ્મુ-કાશ્મીર ગયા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના 40 પ્રવાસીઓ ફસાયા
રાજકોટ શહેર અને જિલ્લાના 40 પ્રવાસીઓ પણ કુદરતી આફતમાં ફયાસા હોવાના અહેવાલ છે. મહત્વની બાબત એ છે કે આ તમામ પ્રવાસીઓ પુરૂષ છે. તેઓ શનિવારથી શ્રીનગરના પહેલગામમાં ફસાયેલા છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા કાવ્ય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આ તમામ લોકો બીજી સપ્ટેમ્બરથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતાં. શનિવારે 6 સપ્ટેમ્બર, 2014ના રોજ આ તમામ યુવાનો પહેલગામમાં હતાં. આજે બપોરે રાજ પેલેસ હોટલમાં આ ફસાયેલા રાજકોટના મુસાફરો સલામત છે તેવો ઇ-મેઇલ ટૂર સંચાલક રક્ષિત જોષીને મળતા રાહતની લાગણી ફેલાઇ છે.

ખેડાનું એક ગ્રુપ શ્રીનગરમાં ફસાયું
મોરબી અને રાજકોટ બાદ મધ્ય ગુજરાતના ખેડાના પર્યટકોનું એક જુથ પણ શ્રીનગરમાં ફસાયું હોવાના સમાચાર છે. આ ગ્રુપમાં કુલ કેટલા લોકો છે તે અંગે ચોક્કસ માહિતી મળી શકી નથી. જો કે આ પ્રવાસીઓ એક હોટેલમાં સલામત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
