ગુજરાતમાં નિયમોનું ઉલ્લંઘન કરતી 6 હોમિયોપેથી કોલેજો બંધ થશે
ગાંધીનગર, 16 ડિસેમ્બર : ગુજરાતની 16 સહિત ભારતમાં હાલ 188 હોમિયોપેથિક કોલેજ ચાલે છે. આ તમામ 188 કોલેજમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હોમિયોપેથીએ વર્ષ 2014માં હાથ ધરેલા ઇન્સ્પેક્શનમાં ગુજરાતની 6 સહિત દેશની 121 કોલેજમાં નિયમોનું પાલન થતું ન હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ કારણે સરકાર આ કોલેજો બંધ કરવા વિચારી રહી છે.
આ અંગેની માહિતી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના ચેરમેને ડો. રામજી સિંગે આપતા જણાવ્યું કે 'જે કોલેજમાં આજે એક વર્ષ વીતીગયું હોવા છતાં પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, તેવી કોલેજો માટે સરકાર આકરા પગલાં ભરવાનું વિચારી રહી છે.'
પારૂલ આરોગ્ય સેવા મંડળ ખાતે આયોજિત હોમિયોફેસ્ટ - 2014 'નેશનલ સેમિનાર ઓન હોમિયોપેથી'ના સમાપન પ્રસંગે સોમવારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના ચેરમેને ડો. રામજી સિંગ, વાઇસ ચેરમેન તેમજ પૂર્વ ચેરમેન પણ હાજર રહ્યાં હતા.
આ ઉપરાંત દેશના અનેક હોમિયોપેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ અને વિષય તજજ્ઞાોએ હાજરી આપી હતી. જે પ્રસંગે ચેરમેન ડો. રામજી સિંગે જણાવ્યું હતું કે, એમસીઆઇની જેમ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીના પણ કોલેજના સંચાલન માટેના કેટલાક નિયમો છે. જે નિયમોનું પાલન કોલેજ દ્વારા કરાય છે કે કેમ તે બાબતે 2014 માં કરવામાં આવેલા ઇન્સપેક્શનમાં 121 કોલેજો અમાન્ય ઠરી હતી.
આ 121 અમાન્ય કોલેજમાં 1 કેન્દ્ર સરકાર સંચાલિત, 33 રાજય સરકાર સંચાલિત કોલેજોનો પણ સમાવેશ થતો હતો. ગુજરાતની 6 સહિત121 અમાન્ય ઠરેલી કોલેજોનો અહેવાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આપવામાં આવ્યો હતો. જે અહેવાલમાં તમામ કોલેજમાં 2014-15માં પ્રવેશ સામે પ્રતિબંધ મુકવાની ભલામણ કરાઇ હતી.
નવી સરકારમાં તત્કાલીન આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન દ્વારા તે સમયે તમામ કોલેજ જનરલ માન્યતા આપી સુવિધા સુધારવા માટે એક વર્ષનો સમય અપાયો હતો. જે તમામ કોલેજમાં આજે પણ કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. ત્યારે આગામી ઇન્સ્પેક્શનમાં પણ તમામ કોલેજો અમાન્ય ઠરે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.