જુનાગઢમાં અકસ્માતઃ સાત લોકોના મોત
બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગણેશ મહોત્સવના સાતમા દિવસે જુનાગઢના દોલતપરા વિસ્તારમાં બે સ્થળોએ યોજાયેલા ગણેશ મહોત્સવમાં ભાવિકો ટ્રકમાં બેસીને મજેવડી નજીક આવેલી ઉંબેણ નદી ખાતે ગણપતિ વિસર્જન માટે જઇ રહ્યાં હતા. ટ્રકમાં 70થી 75 જેટલા લોકો બેસીને નદી તરફ જઇ રહ્યાં હતા ત્યારે બપોરે ચારેક વાગ્યાની આસપાસ જુનાગઢના માખિયાળા ગામેથી દોઢેક કિમી દૂર એક વળાંક પાસે ટ્રકના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક રસ્તા પરથી નીચે ઉતરી ગયો હતો અને ઉંડા વોકળામાં પલટી મારી ગયો હતો.
આ ઘટનામાં બે સગા ભાઇ બહેન સહિત સાત લોકો ટ્રક નીચે દબાઇ ગયા હતા, જેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે 50 જેટલા લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 6થી 7 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. અકસ્માત થયાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે આવી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કવાયદ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવા કાર્યવાહી શરૂ કરી હતી. બનાવના કારણે શહેરમાં શોકની લાગણી પ્રસરી છે.