ગુજરાત ટૂ કેન્દ્રઃ અઢિયાની નાણા મંત્રાલયના સચિવ પદે નિમણૂક
અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છેકે, કેબિનેટ કમિટી દ્વારા હસમુખ અઢિયાની નાણા મંત્રાલયમાં સચિવ તરીકેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છેકે, 2015-16ના કેન્દ્રિય બજેટ પહેલાના આ તાજા ફેરફારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ પૂર્વ ફાયનાન્સ સેક્રેટરી અરવિંદ માયારામની માઇનોરિટી એફેર્સ મિનિસ્ટ્રીમાં જ્યારે પૂર્વ રાજસ્થાન ચીફ સેક્રેટરી રાજીવ મેહરિષિની ઇકોનોમિક અફેર્સ મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અઢિયાને નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે અને એવી આશા રાખવામાં આવી રહી હતી કે નવી દિલ્હીમાં તેમને કોઇ મહત્વના પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. હાલ અઢિયા ગુજરાતમાં નાણા મંત્રાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી છે, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2003-04માં તેઓ વધારાનો પ્રિન્સિપલ સેક્રેટરીનો ચાર્જ સંભાળી રહ્યાં હતા અને 2004-06માં તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી હતા. આ ઉપરાંત અઢિયાએ 1994 અને 1999 દરમિયાન કેન્દ્રમાં ડેપ્યુટી સેક્રેટરી અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં ડિરેક્ટર તરીકેની ફરજ બજાવી હતી.