બનાસકાંઠા બાદ સાબરકાંઠામાં રીંછનો આતંક
સાબરકાંઠામાં પણ ફેલાયો રીંછનો આતંક. ત્રણ જગ્યાએ વન વિભાગે લગાવ્યા પીંજરા.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના જોડકંપા અને મુડેટી ગામની સીમમાં રીંછે એક વૃદ્ધ પર હુમલો કર્યો હતો. જોકે વૃદ્ધ ભાગી જતા તેમનો બચાવ થઇ ગયો હતો. જે બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. પણ રીંછના આ હુમલા બાદ ગ્રામજનોએ વન વિભાગને પાંજરા મૂકી રીંછને પકડવાની માંગણી કરી હતી. જે બાદ વન વિભાગે પાંજરા મૂકીને રીંછને પકડવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જો કે તેમાં હજુ સુધી વન વિભાગને સફળતા નથી મળી અને સીમમાં વનવિભાગ દ્વારા એકલ - દોકલ નહી ફરવા સુચના આપી છે.
ઉલ્લેખનીય છે કે વન વિભાગે રીંછના પગલા જોઈ જોડકંપા વિસ્તારમાં ત્રણ પાંજરા મૂક્યા છે. અને વન વિભાગે ગામમાં ગ્રામજનોને જાગૃત અને સાવચેત રહેવા માટે ગામમાં બેનરો પણ માર્યા છે સાથે જ ખેતરમાં જવું હોય તો સાથે લાકડી કે હથિયારો રાખવા, અને નાના બાળકોને રાત્રે ગામની સીમમાં ન જવા દેવા અને જોરથી અવાજ કરી શકાય તેવા સાધન સાથે રાખવા માટે સુચના આપી છે. નોંધનીય છે કે બનાસકાંઠાના દાંતામાં બનેલી ઘટના બાદ વન વિભાગ કોઈ પણ જાતની કચાસ રાખવા માંગતો નથી માંગતી. ત્યારે બનાસકાંઠા પછી સાબરકાંઠામાં પણ રીંછનો ભય ગ્રામજનોની ચિંતા વધારી રહ્યો છે.
બનાસકાંઠામાં હડકંપ મચાવનાર હિંસક રીંછ ઠાર મરાયું