For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ ભાજપની મિલીભગતના કારણે અ'વાદને શ્રેષ્ઠ શહેરનો અવોર્ડ: આપ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 23 જાન્યુઆરી: દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ હવે 'આપ' ગુજરાતમાં પણ પોતાનું નસીબ અજમાવવા જઇ રહ્યું છે. કેજરીવાલે એવી જાહેરાત પણ કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદાવારોને ઊભા કરશે. જેના પગલે ગુજરાતમાં 'આપ'એ પોતાનું કામ શરૂ કરી દીધું છે.

ભારત સરકાર તરફથી ગુજરાતના અમદાવાદ શહેરને શ્રેષ્ઠ શહેર તરીકે પુરષ્કાર એનાયત કરવામાં આવ્યો, જેનો આપ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે તેમજ આપનું કહેવું છે કે કોંગ્રેસ અને ભાજપની મિલીભગતના કારણે અમદાવાદ શહેરને બેસ્ટ સિટી તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં 'આપ' સંયોજક સુખદેવ પટેલે આ અંગે આજે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ''શહેરી ગરીબોને પાયાની સગવડો પૂરી પાડવા માટેનો દેશના બેસ્ટ શહેરનો એવોર્ડ અમદાવાદને મળ્યો છે. અમદાવાદના મેયર અને મ્યુ.કમિશ્નરને ૨૧મી જાન્યુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ના હસ્તે આ એવોર્ડ અપાયો છે. યુપીએ ની કેન્દ્ર સરકારના હાઉસિંગ અને શહેરી ગરીબી નાબુદી મંત્રાલયના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસી પ્રધાન સુશ્રી ગીરીજા વ્યાસની ઉપસ્થિતિમાં આ સભારંભ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારને છેલ્લા દસ વર્ષમાં યુપીએની મુખ્ય ભાગીદાર કોંગ્રેસની કેન્દ્ર સરકારે અનેક એવોર્ડ આપેલ છે તેમાં આ એવોર્ડે ફરી એક વાર મોટું રાજકીય આશ્ચર્ય ઉભું કર્યું છે.

સાબરમતી મોટેરા વિસ્તારમાં ૨૦ વર્ષથી વધુ સમયથી રહેતા ૩૦ હજાર લોકોને પીવાનું પાણી કે ગટર સુવિધાઓ મળી નથી તે અંગેની જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલ છે. અમદાવાદ શહેરની મોટા ભાગની મ્યુની. શાળાઓમાં પીવાના પાણીની મુશ્કેલીઓ છે, શૌચાલયની સુવિધાઓ અપૂરતી છે. ગટરના જોડાણ ના આપવાના કારણે શાળાના શૌચાલયનો ઉપયોગ કન્યાઓ કરી શકતી નથી. શિક્ષકોએ પોતે ફાળો એકઠો કરીને તેમના પુરતી કામચલાઉ શૌચાલયની વ્યવસ્થા કરવી પડે છે.

મેયર મીનાક્ષીબેન પટેલના જોધપુર વોર્ડમાં જ ચાર દિવસ પહેલા ૯૨ રહેણાંક ની એક આખે આખી વસાહત તોડી નાખવામાં આવી છે, જ્યાં અમદાવાદ શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કામદારો છેલ્લા ૨૦ વર્ષથી રહે છે. ૭૦૦ થી વધુ વસ્તીની આ વસાહતમાં પાણીની કોઈ જ સગવડ નથી. આજુબાજુમાં બનેલી નવી સોસાયટીના નાગરિકોની મહેરબાનીથી તેઓ માંડ-માંડ થોડુક પાણી મેળવી શકે છે. શૌચાલયની સગવડો ના હોવાથી કુટુંબની મહિલાઓના સ્વમાનના પ્રશ્નો પણ ઉભા થાય છે.

sukhdev patel
જોધપુર વોર્ડમાં સીમા હોલની પાછળ આવેલા આ ઝુંપડામાં રહેતા નાગરિકોને રેશનકાર્ડનો લાભ પણ મળતો નથી. તેમની પાસે ચૂંટણીમાં મતદાન માટેના ઓળખકાર્ડ નથી કારણકે તેઓની નોંધણી મતદાતા તરીકે હજી સુંધી થઇ નથી. આમ આદમી પાર્ટીના કાર્યકરો આ માટે અસરગ્રસ્તોની સાથે રહીને રેશનકાર્ડ, ચૂંટણી ઓળખકાર્ડ અપાવવાની કામગીરી કરશે.

આ એક વિસ્તારનો સવાલ નથી, મેટ્રો બનવા જતા અમદાવાદમાં હજારોની સંખ્યામાં નાગરિકો આ દોજખભરી સ્થિતિમાં જીવી રહ્યા છે. વિકાસની વાત તો છોડો, અહી તો પ્રાથમિક સગવડોનો જ સંપૂર્ણપણે અભાવ છે. આવી સ્થિતિમાં ભાજપના મુખ્યમંત્રીશ્રી સૌનો સાથ અને સૌનો વિકાસના સુત્રોથી પ્રસિધ્ધીમાંથી ઊંચા આવતા નથી અને સંવેદનહીન શાસન શૈલીનો અવાર નવાર પરિચય આપતા રહે છે. તેમના રાજકીય હરીફ પક્ષ કોંગ્રેસ નાદાર થઈને સુશાસનના સર્ટીફીકેટ અને એવોર્ડ આપ્યા જ કરે છે.

એકહથ્થુ નેતૃત્વની માયાજાળમાં સપડાયેલા ભાજપ અને નેતૃત્વ શૂન્યતામાં અટવાયેલી કોંગ્રેસ એક બીજાના સહારે ચૂંટણીઓ ટાણે આમ આદમીને ઉંઠા ભણાવે છે. પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા મેળવીને ભ્રષ્ટાચારમાં ભાગીદારીથી ચાલતા આ રાજકીય કાવાદાવાને સમજુ મતદારો ઓળખી ગયા છે. જેનો પડઘો આવનારી ચૂંટણીઓમાં પડશે. જાગૃત મતદારોને આ મુદ્દે કોઈ જ આંદોલન કે કાર્યક્રમથી કહેવાની જરૂરીયાત ઉભી થવાની નથી, કારણકે છેલ્લા દોઢ-બે દાયકાથી ગુજરાત મોડેલની દુહાઈ દેતી ગુજરાત સરકાર અતિપ્રચાર અને અપપ્રચારના વાવાઝોડામાં ફસાઈ ગઈ છે.

ત્યારે "કોંગ્રેસ ભાજપ ભાઈભાઈ - વેશ બદલકે ખાઈ મલાઈ" વાળી વાત લાંબી ચાલવાની નથી. તેની ખાત્રી દિલ્હી ચૂંટણીના પરિણામોએ આપી દીધી છે. આ સ્થિતિમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય ઘણા સંગઠનોએ કરેલ છે. વિવિધ સમાજના સેંકડો આગેવાનો અને લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

English summary
Ahmedabad has received award for best city, because of nothing but Collusion between Congress and BJP says AAP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X