બાપુ ગયા ને પટેલ આવ્યા! રાજ્યસભાનું ચૂંટણી ફોર્મ ભર્યું
અહેમદ પટેલે રાજ્ય સભાની ચૂંટણી માટે નામાંકન આપ્યું. આ પ્રસંગે બાપુના સમર્થકો રહ્યા ગેરહાજર. તેમ છતાં કોંગ્રેસના 55 નેતાઓની હાજરીમાં ગાંધીનગર ખાતે તેમણે ફોર્મ ભર્યું હતું.
રાજ્યસભાના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા પછી હવે કોંગ્રેસમાંથી અહમેદ પટેલે બુધવારે આ અંગે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાની સાથે જ ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પણ છે. અને લાંબા સમયથી તે ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ત્યારે ગાંધીનગર ખાતે અહેમદ પટેલે, આજે ભરતસિંહ સોંલકી જેવા કૉંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓની હાજરીમાં રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ફોર્મ ભર્યું હતું.વધુમાં મીડિયા દ્વારા અહેમદ પટેલને શંકસિંહ વાધેલા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમને તમામ ધારાસભ્યો નો ટેકો મળશે. પણ ફોર્મ ભરતી વખતે બાપુના ટેકેદાર નેતાની પાંખી હાજરી કંઇક બીજી જ વાત કહેતી હતી.
જો કે ક્રોસ વોટિંગ મામલે અહમદ પટેલ જણાવ્યું હતું કે શંકર સિંહ વાઘેલા 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી તરીકે લડવા ઇચ્છતા હતા. પણ કોંગ્રેસે તેમને આ માંગણી સ્વીકારી નહતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસના 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ક્રોસ વોટિંગ શંકરસિંહ વાઘેલાના સમર્થક ધારાસભ્યોએ કર્યું હોવાનું માનવામાં આવતું હતું. જો કે આ મામલે અહેમદ પટેલે સ્પષ્ટતા આપવાનું ટાળ્યું હતું.