અમદાવાદ એરપોર્ટ 31મી મે સુધી રોજ 9 કલાક બંધ રહેશે, જાણો શા માટે?
દેશના સૌથી વ્યસ્ત નોન-મેટ્રો એરપોર્ટ પૈકીનું એક અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 17મી જાન્યુઆરીથી આંશિક રીતે બંધ થઈ જશે.
અમદાવાદ : દેશના સૌથી વ્યસ્ત નોન-મેટ્રો એરપોર્ટ પૈકીનું એક અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 17મી જાન્યુઆરીથી આંશિક રીતે બંધ થઈ જશે, અહેવાલ અનુસાર, અમદાવાદ એરપોર્ટ આજથી 31મી મે, 2022 સુધી દરરોજ નવ કલાક માટે બંધ રહેશે. રનવે પર આયોજિત રી-કાર્પેટીંગ વર્કના કારણે અઠવાડિયાના તમામ દિવસોમાં એરપોર્ટ સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે.
અમદાવાદ એરપોર્ટે તેના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વિટમાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 17 જાન્યુઆરી 2022 થી 31 મે 2022 સુધી રનવે રિ-કાર્પેટીંગનું સુનિશ્ચિત કાર્ય હાથ ધરશે. આ કામ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે.
રિસરફેસિંગનું કામ રવિવાર અને જાહેર રજાઓને બાદ કરતાં તમામ દિવસોમાં સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે, એમ અમદાવાદ એરપોર્ટ દ્વારા ટ્વીટમાં વધુમાં જણાવાયું છે.
અગાઉ 16 સપ્ટેમ્બર 2021ના મિન્ટના અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને અમદાવાદ એરપોર્ટ પર આંશિક કામગીરી બંધ કરવા માટે સમયમર્યાદા ઘટાડવા કહ્યું છે, જે શરૂઆતમાં નવેમ્બર 2021 અને મે 2022 વચ્ચે થવાનું હતું.
આ વર્ષની તહેવારોની સિઝનમાં પેસેન્જર ટ્રાફિકમાં અપેક્ષિત પુનરુત્થાનને ધ્યાનમાં રાખીને અદાણી ગ્રુપે સપ્ટેમ્બરમાં DGCAનો સંપર્ક કર્યો હતો. તે પછી તેણે કહ્યું હતું કે, રનવે ઓવરલેઇંગ, રનવે સ્ટ્રીપ ગ્રેડિંગ અને સ્લોપ એસેસમેન્ટ, રનવે એન્ડ સેફ્ટી એરિયા (RESA) ગ્રેડિંગ અને સ્લોપ એસેસમેન્ટ સાથે સ્ટોર્મ વોટર ડ્રેઇન કન્સ્ટ્રકશન અને મેન્યુવરિંગ એરિયા પર સિગ્નેજના પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરશે.