60 કરોડના ખર્ચે થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર બનશે ઓવરબ્રીજ
અમદાવાદમાં બનશે આ જગ્યાએ ઓવરબ્રીજ. લોકોની ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારતીય રેલવે દ્વારા અમદાવાદ વિરમગામ બ્રોડગેજ લાઈન પર રૂ.60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા શનિવારે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ''ભારતીય રેલ્વે અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામનાર આ ઓવરબ્રીજથી પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ રેલ્વે ક્રોસિંગ પર 24 કલાકમાં અંદાજે 101 ટ્રેનો (જેમાં 65 ગુડ્સ ટ્રેનો તથા 35 પેસેન્જર ટ્રેનો) નિયમિત પસાર થાય છે. જેના કારણે વારંવાર ફાટક બંધ થઈ જતાં અવર-જવર કરતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં લઈને રીંગરોડ સાથે જોડાતા આ ઓવરબ્રીજથી નાગરિકોના સમય અને ઈંધણનો બચાવ થશે. નવી ટેક્નોલોજીથી બનનાર આ ઓવરબ્રીજની લંબાઈ 903.76 મીટરની રહેશે તથા ચારમાર્ગીય રસ્તો બનશે. જેનું કાર્ય 18 માસમાં પૂર્ણ કરવાનું આયોજન છે.''
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મુખ્ય મહેમાન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે, ''આ રસ્તા પરથી થોળ પક્ષી અભ્યારણ્ય, કડી, કલોલ અને થલતેજ-રાંચરડા ટી.પી. સ્કીમો તેમજ અમદાવાદ શહેરને જોડતો રીંગ રોડ પણ પસાર થાય છે. જ્યાં વર્ષોથી પડતી લોકોની આ તકલીફનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે. સતત વિકાસ પામતા અમદાવાદ શહેરના આપણે સૌ ભાગીદાર બન્યા છીએ એ ગર્વની વાત છે.'' રેલ્વે ઓવરબ્રીજના આ ખાતમુહૂર્ત પ્રસંગે અમદાવાદ શહેરના મેયર ગૌતમભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા