ભુદરપુરાની ઘટના પછી એલિસબ્રીજ પોલીસ સ્ટેશનનો લોકોએ કર્યો ઘેરાવ
અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં ટોળાએ સોમવાર મોડી રાતે પથ્થરમારો કર્યા પછી આજે સવારે ટોળા દ્વારા એલિસબ્રીજ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો. જાણો વધુ અહીં.
સોમવારે મધ્ય રાત્રિએ આંબાવાડી વિસ્તારના ભુદરપુરા બે જૂથો વચ્ચે થયેલી બોલચાલ પછી મોટા ટોળાએ પથ્થરમારો કરી બાઇકો સળગાવી દેવા જેવી ઘટના પ્રકાશમાં આવી હતી. હવે આ મામલે એલિસબ્રીજ પોલીસ આગળ સ્થાનિક લોકોએ ચક્કાજામ કરી ઘેરાવો કર્યો છે. લોકોની માંગણી હતી કે અહીં જે હોસ્ટેલ છે તેને બંધ કરવામાં આવે. સાથે જ તે પોલીસ અધિકારીઓએ ઘરમાં ધૂસીને લાઠીચાર્જ કર્યો હતો તેમની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે. ત્યારે અચાનક જ મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થઇ જતાં પોલીસે પણ ચાંપતો બંદોવસ્ત કર્યો હતો. અને બીજી જગ્યાએથી પણ વધુ પોલીસ દળ બોલવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે સોમવારે મોડી રાતે થયેલી ઘટનામાં પોલીસકર્મી સમેત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને જાનમાલને પણ નુક્શાન થયું હતું. ભુદરપુરામાં રહેતા સ્થાનિક લોકો એ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં રાજપૂત સમાજ ની હોસ્ટેલ માં રહેતા કેટલાક લુખ્ખા તત્વો અવારનવાર દારુ પીને ધમાલ કરવા ઉપરાંત છોકરીઓ ની છેડતી કરે છે. અને આ કારણે જ ગત રાતે બનાવ બન્યો હતો. જેના પગલે આ હોસ્ટેલને બંધ કરવામાં આવે. નોંધનીય છે આ બનાવ બાદ પોલીસ કોમ્બિનગ કરી 10 થી વધારે લોકોની ધરપકડ કરી હતી. વળી ટોળાએ ફાયર બ્રિગ્રેડ પર પણ પથ્થરમારો કર્યો હતો. જે પછી આ વિસ્તારમાં પોલીસ બંદોવસ્ત વધારવામાં આવ્યો છે. જો કે આ ઘટના પછી એલિસબ્રિજના પોલીસ સ્ટેશનનો લોકોએ ઘેરાવો કરતા વિવાદ વધ્યો છે.