પદ્માવતનો વિરોધ: PVR સિનેમામાં તોડફોડ અને આગચાંપી
અમદાવાદમાં ફિલ્મ પદ્માવતનો ઉગ્ર વિરોધ. એસ.જી હાઇવે પાસે આવેલા હિમાલય મોલમાં ગુસ્સે ભરાયેલી ભીડ દ્વારા આગચાંપી અને તોડફોડ થઇ. જાણો વધુ અહીં.
મંગળવાર મોડી સાંજે અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા હિમાલયા મોલ પાસે લગભગ 1000થી વધુ લોકોના ટોળાએ ફિલ્મ પદ્માવત ફિલ્મના વિરોધ માટે કરીને રસ્તો બ્લોક કરી દીધો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. હિમાલયા મોલ પાસે આવેલ ટોળું વિખેરવા પોલીસ દ્વારા ફાયરિંગ કરાયું.પીએસઆઇ દ્વારા પોતાની સર્વિસ રિવોલ્વર માંથી 2 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા. વધુમાં સીસીટીવી ફૂટેજમાં જોઇને પોલીસ દ્વારા કેટલાક શખ્સો ની અટકાયત કરવામાં આવી છે. જો કે ગુસ્સે ભરાયેલા ટાળાએ મોલમાં તોડફોડ પણ કરી હતી. અને બહાર ઊભેલા વહાનોને આગચાંપી પણ કરી હતી. શરૂઆતમાં લગભગ 5 કારો અને 5 જેટલા બાઇકોને આગચાંપી કરવામાં આવી હતી. કરણી સેનાના કાર્યકર્તાઓ ફિલ્મ પદ્માવતની રિલિઝના વિરોધના પગલે અહીં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. જેના કારણે સ્થિતિને જાળવી રાખવા માટે પોલીસ પણ તંત્ર પણ દોડતું થયું હતું.
નોંધનીય છે કે આ વિરોધના પગલે થલતેજ સિગ્નલ પાસે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઇ હતી. મોટી સંખ્યામાં લોકો આ સિગ્નલ પાસે અટવાઇ પડ્યા હતા. આ કારણે ઝાયડસ હોસ્પિટલ આગળ પણ ટ્રાફિક જામ થયો હતો જેના પગલે ચાંદખેડા, રાણીપ અને સોલા અને ગોટા સાઇડ ટ્રાફિકને ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ હિમાલયની મોલની કેટલીક દુકાનોના કાચ તોડી દીધા હતા અને મોટે પાયે આગચાંપીના કારણે કાર, બાઇક અને દુકાનોને નુક્શાન થયું હતું. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી અમદાવાદ પોલીસ કમિશ્નરે ફિલ્મ રજૂ કરનાર મલ્ટીપ્લેક્ષને પોલીસ સુરક્ષા આપવાની વાત કરી હતી. પણ પોલીસની હાજરી હોવા છતાં 1500 જેટલી સંખ્યામાં આવેલા ટોળાએ પોલીસની મુશ્કેલીઓ વધારે મોડી રાતે અમદાવાદને ભડકે બાળ્યું હતું અને ભારે તંગદીલિ સર્જી હતી.
નોંધનીય છે કે હિમાલયા મોલ પછી વસ્ત્રાપુર પાસે આવેલા આલ્ફા વન મોલમાં પણ બાઇકોને આગ ચાંપવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા લોકોને શાંતિની અપીલ કરવામાં આવી હતી. વધુમાં હાલ પોલીસ સીસીટીવી કેમેરાના આધારે લોકોને પકડી રહી છે. અને તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ ભારે તંગદીલી પછી કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવતે પણ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. જો કે આ તમામના ભાગફોડના કારણે ભારે નુક્શાન પણ થયું છે.