Gujarat bypoll: અલ્પેશ ઠાકોરનું રાજકીય કરિયર સમાપ્ત? આ કારણે હાર સાંપડી
Gujarat bypoll: અલ્પેશ ઠાકોરનું રાજકીય કરિયર સમાપ્ત? આ કારણે હાર સાંપડી
અમદાવાદઃ કોંગ્રેસમાં બળવો કરી ભાજપમાં જોડાયેલ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની દિવાળી બગડી. અલ્પેશ ઠાકોરે સપનેય નહિ વિચાર્યું હોય કે ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેવું તેને બહુ મોંઘું પડશે, પણ અલ્પેશ પક્ષ પલટો કરતાં પહેલાં ઈતિહાસ પર નજર ફેરવવાનું ભૂલી ગયા, જો તેમણે જરા ઈતિહાસ પર નજર ફેરવી હોત તો તેમને અંદાજો આવી જાત ગુજરાતમાં પક્ષ પલટો કરનાર મોટા ભાગના નેતાઓને પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. જો કે બધા બાવડિયા અને જવાહર ચાવડા નથી હોતા.
જણાવી દઈએ કે 6 વિધાનસભા સીટમાંથી 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે જ્યારે 3 પર ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસનો જે સીટ પર વિજય થયો છે તેમાં રાધનપુર, બાયડ અને થરાદ સામેલ છે. જ્યારે ભાજપ અમરાઈવાડી, લુણાવાડા અને ખેરાલુથી જીત્યું છે.

રાધનપુર સીટ પર સૌની નજર હતી
અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી જશે તે સ્પષ્ટ થઈ ગયું ત્યારે રાજ્યમાં કોંગ્રેસના નેતાઓ પર ખુશીઓની લહેર સ્પષ્ટ જોવા મળી. શરૂઆતથી જ અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા હતા અને અંત સુધી ક્યારેય લીડ ન મેળવી શક્યા. 6 સીટ પર ટ્રેન્ડ આવી રહ્યાં હતાં અને બધાની નજર રાધનપુર સીટ પર હતી જ્યાંથી અલ્પેશ ચૂંટણી લડી રહ્યા હતા. જેવું જ સ્પષ્ટ થઈ ગયું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે ચૂંટણી હારી ગયા છે કે તરત જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા પોતાની ઑફિસથી બહાર નિકળ્યા અને મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી. દરમિયાન અમિત ચાવડાએ કહ્યું કે 'પક્ષ પલટુઓને લોકોએ પાઠ ભણાવ્યો છે અને કોંગ્રેસમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.'

જાતિગત રાજનીતિના કારણે હાર્યોઃ અલ્પેશ ઠાકોર
ઓબીસી નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી અને તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા. આ બંનેએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી પણ આ બંનેએ કોંગ્રેસના ઉમેદવારો સામે ભયંકર હારનો સામનો કરવો પડ્યો. અલ્પેશ ઠાકોરે હાર સ્વીકાર્યા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'હું જાતિગત રાજનીતિને કારણે હાર્યો છું પરંતુ રાધનપુરના લોકો માટે કામ કરતો રહીશ.'

અલ્પેશનું કરિયર ટૂંક સમયમાં જ અસ્ત
ગુજરાતના ચૂંટણી અખાડામાં અલેપશ જેટલો જલદી ઉપર આવ્યો એટલો જ જલદી નીચે પટકાયો છે. અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાયથી આવે છે અને તે ઓબીસીના નેતા છે. 43 વર્ષીય અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવતા પહેલા નશામુક્તિ, તમાકૂ વિરુદ્ધ આંદોલન આંદોલન ચલાવ્યું હતું અને પોતાના સમુદાયના લોકોને નશાખોરી છોડવા આહ્વાન કર્યું હતું. તે ભાજપ વિરોધી યુવા નેતાના રૂપમાં ચમક્યા હતા. 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને રાધનપુર સીટથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે શું હારેલા ઘોડા પર ભાજપ બીજી વખત દાવ રમશે? જો ભાજપ તરફથી આગામી ચૂંટણીઓમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ ન મળે તો અલ્પેશ ઠાકોરનું રાજકિય કરિયર કઈ દિશામાં ફંટાશે તે જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
