દારૂબંધીના અમલ માટે અલ્પેશ ઠાકોર કરશે આ નવતર પ્રયોગ
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફરી એકવાર દારૂબંધીના અમલ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.અલ્પેશ ઠાકોરે કહ્યુ હતું કે, ભાજપની સરકાર આવતાં જ મોટા બુટલેગરો ભાજપમાં જોડાઇ ગયા છે. આ અંગે વધુ વાંચો અહીં.
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ફરી એકવાર દારૂબંધીના અમલ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. થરાદના ઘોડાસર ગામમાં સન્માન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલ અલ્પેશ ઠાકોરે દારૂબંધી તથા એના અમલ માટે તેઓ શું પગલાં લેનાર છે એ અંગે વાત કરી હતી અને ભાજપ પર આકાર પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપની સરકાર આવતાં જ મોટા બુટલેગરો ભાજપમાં જોડાઇ ગયા છે. આ સાથે જ તેમણે એવો પણ આરોપ મુક્યો હતો કે, બુટલેગરોએ ચૂંટણીમાં તેમને હરાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા.
તેમણે કહ્યું કે, ચૂંટણી સમયે પકડાયેલો દારૂ એવો દારૂ હતો, જેનું સેવન કર્યા પછી 48 કલાક સુધી વ્યક્તિ ઊભો જ ના થઇ શકે, ઘેનમાં જ રહે અને મત આપવા ન જઇ શકે. એ દારૂમાં એવી દવા, ઇન્જેક્શન ભેળવવામાં આવ્યા હતા. તેમણે આગળ કહ્યું કે, હવે દારૂબંધાના કડક અમલ માટે બુટલેગરોના અડ્ડા પર રેડ કરશે. નવતર પ્રયોગ હેઠળ દારૂના અડ્ડા અને રાજનેતાઓને ત્યાં ઢોલ વગાડી વિરોધ કરવામાં આવશે અને આમ છતાં જો દારૂના અડ્ડા બંધ ના થયા તો અમે મુખ્યમંત્રીના બંગલે જઇ ઢોલ વગાડીશું અને કહીશું કે, સાહેબ તમારી જવાબદારી છે, દારૂબંધીનો કડક અમલ કરાવો. ખાસ કરીને યુવાઓ માટે આ ખૂબ જરૂરી છે.