વિદ્રોહીઓને મનાવો, માને નહીં તો જ બ્રહ્માસ્ત્ર કાઢજોઃ અમિત શાહ
વિદ્રોહીઓને મનાવો, માને નહીં તો જ બ્રહ્માસ્ત્ર કાઢજોઃ અમિત શાહ
ભાજપમાં ટિકિટ વિતરણ બાદથી અસંતોષ શરૂ થઈ ગયો છે. ઘોષિત 160માંથી 40થી વધુ સીટ પર વિરોધના ભણકારા વાગી રહ્યા છે. આજે પ્રદેશ કાર્યાલય ખાતે ધવલસિંહ ઝાલાના સમર્થકોએ પણ હોબાળો મચાવ્યો હતો. ત્યારે વિદ્રોહીઓનો અવાજ દબાવવા માટે ગૃહમંત્રી અમિત શાહે મોર્ચો સંભાળી લીધો છે. વિધાનસભા ચૂંટણીની રણનીતિ બનાવવા માટે અમિત શાહ આગલા ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રહેશે. અસંતુષ્ટ નેતાઓને કારણે થનાર નુકસાન અને ડેમેજ કંટ્રોલ કરવાની રણનીતિ પર અમિત શાહે કામ શરૂ કરી દીધું છે.
અમર ઉજાલાના અહેવાલ મુજબ ભાજપના એક વરિષ્ઠ સાંસદે કહ્યું કે રવિવારે સંજે અમિત શાહે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર કલાકની એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત ચાર ઝોનના મહામંત્રી પણ સામેલ થયા. આ દરમિયાન તેમણે નારાજગી વાળી તમામ સીટો પર ચર્ચા કરી. બેઠકમાં તેમણે ગુજરાત ભાજપના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, 'નારાજ તમામ લોકો પાર્ટી અને પરિવારના છે. તેમના પર દબાણ કરવાના બદલે સમજાવીને અને પ્રેમથી કામ લો. જે લોકો સમજાવટ પર સહમત નથી, તેમને ચૌદમું રત્ન બતાવવાનો દિલ્હીનો આદેશ છે. જરૂરત ના પડે ત્યાં સુધી આ બ્રહ્માસ્ત્ર છોડતા નહીં.'
સંઘ ભાજપ નેતાઓ સાથે બેઠક કરશે
ગુજરાતમાં ઉમેદવારોની યાદીની ઘોષણા થયા બાદ ભાજપમાં અમુક સીટ પર વિદ્રોહનો અવાજ ઉઠવા લાગ્યો હતો. ટિકિટ કપાવાથી કેટલાય સિટિંગ ધારાસભ્ય અને તેમના સમર્થકો નારાજ જણાવાઈ રહ્યા છે. વધતા વિરોધ વચ્ચે રવિવારે અમિત શાહ ગાંધીનગર આવી પહોંચ્યા છે. મેરેથોન બેઠકમાં અમિત શાહે વિરોધના સ્વરને શાંત કરવા, સાથે જ કઈ પાર્ટી પર નારાજગી ચાલી રહી છે, સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. જાણકારી મુજબ આગલા ત્રણ દિવસ અમિત શાહ ગુજરાતમાં રહીને કેમ્પેન કરશે. તેઓ ભાજપ અને સંઘના નેતાઓ સાથે પણ એક બેઠક કરશે. રાજ્યની જે સીટ પર વધુ અસંતોષ છે, ત્યાંની સમીક્ષા પણ કરશે.
વિદ્રોહીઓ આ ક્ષેત્રોમાં મુશ્કેલી પેદા કરી શકે
પ્રદેશ નેતાઓની એક ટીમ અસંતુષ્ટ નેતાઓ સાથે વન ટૂ વન ચર્ચા કરશે. અસંતુષ્ટ નેતાઓને ચૂંટણીમાં વિવિધ ક્ષેત્રોની જવાબદારી સોંપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે લોકો વધુ નારાજ છે, એવા લોકોને સંગઠન અથવા સરકારી નિગમોના પદમાં અડજસ્ટ કરવા જેવી ફોર્મ્યુલા પર પણ ચર્ચા થઈ શકે છે. જણાવવામાં આવે છે કે પાર્ટી જો નારાજ નેતાઓને મનાવવામાં સફળ ના થાય તો આ નેતા મધ્ય ગુજરાતની છ, સૌરાષ્ટ્રની સાત અને ઉત્તર ગુજરાતની સાત સીટ પર ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.
રવિવારે સાંજે અમિત શાહની બેઠક બાદ જામનગર ઉત્તરના સિટિંગ ધારાસભ્ય હકુભા જાડેજાને જામનગરની ત્રણ સીટના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જામનગર ઉત્તર સીટથી ભાજપે રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. ટિકિટ ના મળવા પર હકુભા જાડેજા નારાજ હતા. માટે ચર્ચા છે કે તેમને પ્રભારી બનાવવામાં આવ્યા છે.