આનંદીબેન પટેલ બન્યા મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બનશે મધ્યપ્રદેશના નવા રાજ્યપાલ. જાણો આ ખબર અંગે વધુ જાણકારી અહીં.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નીમવામાં આવ્યા. નોંધનીય છે કે 75 વર્ષની ઉંમરે સ્વ ઇચ્છાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી આનંદીબેન કોઇ પણ અન્ય મોટા હોદ્દે ન જોડાવાનું કહ્યું હતું અને નિવૃત્ત જીવન પરિવાર સાથે વિતાવવાની વાત કરી હતી. પણ હવે ભાજપે તેમને આ કાર્યભાર સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પણ આનંદીબેનને રાજ્યપાલનું પદ આપવાની અને ગુજરાતના રાજ્યપાલ બનાવાની વાતો પણ ચાલતી હતી. જે તેમણે તે વખતે પણ નકારી હતી. અને કહ્યું હતું કે તે પક્ષ માટે સેવા કાર્ય કરવા માંગે છે અને અન્ય કોઇ નવું પદ લેવા નથી ઇચ્છતાં.
ત્યારે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદીબેન હવે ગુજરાતના પડોશી રાજ્ય તેવા મધ્યપ્રદેશમાં રાજ્યપાલ તરીકે પોતાની સેવા આપશે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર છે. આનંદીબેને નિવૃત્તિ પછી પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. ચૂંટણી વખતે પણ પીએમ મોદીની મોટી જનસભાઓ અને કાર્યક્રમમાં આનંદીબેન પટેલ મંચ પર જોવા મળતા હતા. ત્યારે હવે ભાજપે તેના આ વરિષ્ઠ નેતા અને પટેલ નેતા તેવા આનંદીબેનને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નીમ્યા છે. જે બાદ આનંદીબેન પટેલના નજીકના કાર્યકર્તાઓમાં ખુશી વ્યાપી છે.