હલ્લાબોલ: રાજ્યભરના આંગણવાડી બહેનોની હડતાલનો બીજો દિવસ
આંગણવાડીની બહેનો આજે તેમની હડતાલના બીજા દિવસે પણ રાજ્યભરમાં ઠેર ઠેર કર્યું વિરોધ પ્રદર્શન. જાણો શું છે તેમની માંગણીઓ.
રાજ્યભરની આંગણવાડી સંચાલીકાઓ અને આશા ફેસીલીએટરો પગાર વધારવાની તેમની વિવિધ માંગણીઓ સાથે હાલ ત્રણ દિવસની રાજ્યવ્યાપી હડતાલ પર છે. હડલાતના બીજા દિવસ પણ રાજ્યભરમાં અમદાવાદ, આણંદમાં મહિલાઓએ હલ્લાબોલ કરીને સીએમ વિજય રૂપાણી અને પીએમ નરેન્દ્ર મોદીના નાામના છાજિયા લીધા હતા અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આંગણવાડી સંચાલીકાઓની અને આશા ફેસીલીએટરોની મુખ્ય માંગ છે કે આગામી બજેટમાં જ તેમના પગાર વધારાની માંગણીને સંતોષવામાં આવે. જો આગામી બજેટ આ માંગણીઓ અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો તે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જશે. આંગણવાડી સંચાલીકાઓએ પોતાની માંગણીઓના સમર્થનમાં છેલ્લા બે દિવસથી જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.
નોંધનીય છે કે અનેક રજુઆતો કરવા છતાં આંગણવાડી સંચાલીકાઓ અને આશા ફેસીલીએટરોના પગારોમાં કોઈ વધારો કરવામા નથી આવ્યો. આ અંગે સંગઠનના મંત્રી કૈલાશબેન રોહીતે જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર દ્વારા ર૦૧૧ પછી છેલ્લા છ વર્ષથી આંગણવાડી સંચાલીકાઓ માટે કોઈ પગાર વધારો કરવામાં આવ્યો નથી. તેમજ ચાલુ વર્ષના કેન્દ્રના બજેટમાં પણ આંગણવાડી સંચાલીકાઓને પગાર વધવાની અપેક્ષા હતી પરંતુ તેમના પગારમાં કોઈ વધારો થયો નથી. જેથી આંગણવાડી સંચાલીકાઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતરી ગઈ છે અને જો 21મીએ રજૂ થનારા બજેટમાં આંગણવાડી સંચાલીકાઓ માટે કોઈ વધારો જાહેર કરવામા નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામા આવશે. નોંધનીય છે કે આજે પણ રાજ્યભરમાં મોટી સંખ્યામાં સંચાલીકાઓએ સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.












Click it and Unblock the Notifications
