શું મોરબી પુલ દૂર્ઘટના માટે જવાબદાર કંપનીના માલિકની ધરપકડ ના કરવી જોઈએ? કેજરીવાલે રોડ શોમાં લોકોને પૂછ્યુ
સોમવારે એક રોડ શો દરમિયાન કેજરીવાલે મોરબી પુલ દૂર્ઘટનાનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર નિશાન સાધ્યુ.
ગુજરાત ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. હવે થોડાક દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં પ્રચારમાં ગતિ પકડી લીધી છે. સોમવારે એક રોડ શો દરમિયાન કેજરીવાલે મોરબી પુલ દૂર્ઘટનાનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ, 'હું તમને પૂછુ છુ, મોરબીમાં એક દૂર્ઘટના થઈ હતી. શું પુલનુ સમારકામ કરનાર કંપનીના માલિકની ધરપકડ ના થવી જોઈએ?'
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યુ, 'તેમનુ નામ પણ FIRમાં નથી. કંપનીનુ નામ નથી. તેમને બચાવવાના પ્રયાસો કેમ થઈ રહ્યા છે? લગભગ 150 લોકો મૃત્યુ પામ્યા અને તેમાંથી લગભગ 50 બાળકો હતા. તેઓ આપણા પરિવારના સભ્યો જેવા હતા. આજે તેમની સાથે જે થયુ તે કાલે આપણી સાથે થઈ શકે છે. તમે ભાજપને 27 વર્ષ આપ્યા છે. અમને પાંચ વર્ષ આપો. જો કામ સંતોષકારક ના હોય તો હું ફરી વોટ માંગવા નહિ આવુ.' સોમવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હતા. ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
તમને જણાવી દઈએ કે મોરબી પુલ દૂર્ઘટનામાં અજંતા ઘડિયાળોના નિર્માતા તરીકે ઓળખાતા ઓરેવા ગ્રુપને 15 વર્ષ સુધી કેબલ બ્રિજની જાળવણીનુ કામ સોંપવામાં આવ્યુ હતુ અને તાજેતરમાં સમારકામ બાદ પુલને ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તે 30 ઓક્ટોબરે તૂટી પડ્યો અને 130થી વધુ લોકો માર્યા ગયા. ઓરેવા ગ્રુપ સાથે સંકળાયેલા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કંપનીના કર્મચારીઓ પણ સામેલ છે. કેજરીવાલ કહે છે કે પોલીસે તે કંપનીના માલિકની ધરપકડ કરી નથી પરંતુ મેનેજર અને અન્ય કર્મચારીઓને પકડ્યા છે.