પંજાબના મુખ્યમંત્રી બાદલે ગુજરાતના વિકાસની પ્રસંશા કરી
ગાંધીનગર, 10 સપ્ટેમ્બર : પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સમક્ષ કચ્છમાં વસેલા પંજાબી ખેડૂતોએ મહાત્મા મંદિરમાં બેઠક યોજીને કચ્છમાં શાંતિ, ભાઇચારા અને મહોબતના સુમેળપૂર્ણ વાતાવરણમાં રહીને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બની રહેલા પંજાબી ખેડૂતોએ ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગની પ્રશંસા કરી હતી અને કચ્છના પંજાબી ખેડૂતોના બહાને રાજ્ય સરકારને તથા નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે રાજકીય ઇરાદાપૂર્વક અપપ્રચાર થયો છે તેને વખોડી કાઢયો હતો.
કચ્છના આ પંજાબી ખેડૂતોના પ્રતિનિધિ મંડળે પ્રકાશસિંહ બાદલ અને ગુજરાતના મમુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું જેનો બંને મુખ્યમંત્રીઓએ સ્વીકાર કર્યો હતો. મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાઇ રહેલા વિશ્વ કૃષિ સંમેલનમાં આવેલા પ્રકાશસિંહ બાદલ સમક્ષ આ કચ્છના પંજાબી ખેડૂતોએ બેઠક યોજી હતી.
બાદલે આ કચ્છના પંજાબી ખેડૂતોની લાગણી અને ગુજરાત સરકારની સંવેદનાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, કચ્છમાં વસેલા પંજાબી ખેડૂતો ખુશનસીબ છે કે તેઓ એવા રાજ્યમાં વસી રહ્યા છે જ્યાં સૌથી વધુ શરાફત છે, કાયદો-વ્યવસ્થાની સ્થિતિથી સમાજજીવન સૌથી વધારે સુરક્ષિત છે અને બહેન-બેટીઓ મધરાતે પણ ઘરેણાં પહેરી નિર્ભયતાથી હરીફરી શકે છે. દુનિયામાં પંજાબીઓ જ્યાં પણ વસ્યા છે ત્યાં વિકાસ સાથે પોતાનું નામ રોશન કરેલું છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતની સરકારે સ્પષ્ટ કરેલું છે કે, પંજાબના ખેડૂતોને કચ્છમાંથી પાછા મોકલી દેવાનો કે તેમની કચ્છની જમીન પડાવી લેવાનો તો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. સર્વોચ્ચ અદાલતમાં જે મુદ્દો ન્યાયાધિન છે તેના બહાને ગુજરાત સરકારને અને મોદીને બદનામ કરવાના રાજકીય દુષ્પ્રચારને અને વિરોધીઓના જૂઠાણાને દેશની જનતા સમક્ષ ઉઘાડા પાડવા માટે ચંદીગઢમાં પ્રેસ મીડિયા સમક્ષ નિવેદન કરવા સૂચન કર્યું હતું. જેને કચ્છના પ્રતિનિધિ મંડળે સહર્ષ સ્વીકારી લીધું હતું.