બેંગલોર સ્થિત ABC એરવેઝ સૂરતથી પરિચાલન શરૂ કરશે
સૂરત, 1 જુલાઇ : સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયા બાદ એન્ય એક એરલાઇન કંપનીએ ડાયમંડ સિટી સૂરતથી પોતાની સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી છે. બેંગલોર સ્થિત ABC એરવેઝ ઓગસ્ટ 2014માં ભુવનશ્વરથી બેંગલોર વચ્ચેની ઘરેલુ વિમાન સેવા શરૂ કરવાની છે. આ વર્ષના અંત સુધીમાં તે બીજા શહેરો જેવા કે પુના, ગોવા, સુરત, અમૃતસર અને ગુવાહાટીની સાથે પણ જોડાશે.
બેંગલોર સ્થિત ABC એવિએશન એન્ડ ટ્રેઇનિંગ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડની પેટા કંપની ABC એરવેઝના પ્રમોટર રાજેશ ઇબ્રાહિમ એક કોમર્શિયલ પાયલોટ છે. તેમનું આ નવું સાહસ છે.
કંપની પાસે પ્રારંભિત તબક્કે ત્રણ એમ્બ્રેર E170s, 78 બેઠકોવાળું એક આધુનિક એરક્રાફ્ટ પણ છે. ભુવનેશ્વર અને બેંગલોરની સાથે કંપની સેકન્ડ ટાયર સિટી જેવી કે રાયપુર, સુરત, ગોવા, અમૃતસર અને ગુવાહાટી પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે.
આ અંગે સૂરત એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર 'એબીસી એરવેઝ કંપનીના અધિકારીઓ મહિનાઓ પહેલા સૂરત આવ્યા હતા. તેમણે એર ટ્રાફિક અંગેનો સર્વે પૂરો કર્યો હતો. એકવાર ભુવનેશ્વર અને બેંગલોર વચ્ચે સેવા શરૂ થઇ ગયા બાદ કંપની સુરતમાં પોતાની સેવા શરૂ કરશે.'
નોંધનીય છે કે સૂરત હાલ દિલ્હી, મુંબઇ, બેંગલોર, ચેન્નાઇ, ગોવા, હૈદરાબાદ, કોલકત્તા, મૈસુર, વારાણસી અને થિરુવનંતપુરમ સાથે સંકળાયેલું છે. આ સેવાથી બેંગલોર, ઓરિસ્સા અને છત્તીસગઢથી સૂરત આવતા-જતા લોકોને ફાયદો થશે.