લોકશાહીમાં મતદાતા રાજા-ઉમેદવારોનો વિરોધ કરી દર્શાવ્યો રોષ
ગઇ કાલે સાંજથી આદર્શ આચારસંહિતા અનુસાર ચૂંટણી પડઘમ શાંત થયા છે, પરંતુ હવે કાર્યકરોએ ઘેર ઘેર જઇને સંપર્ક કાર્ય શરૂ થયું હતું. ત્યારે મતદારો જ અપૂરતી સુવિધાઓના મુદ્દે ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે.
ગઇ કાલે સાંજથી આદર્શ આચારસંહિતા અનુસાર ચૂંટણી પડઘમ શાંત થયા છે, પરંતુ હવે કાર્યકરોએ ઘેર ઘેર જઇને સંપર્ક કાર્ય શરૂ થયું હતું. ત્યારે મતદારો જ અપૂરતી સુવિધાઓના મુદ્દે ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે. આવી ઘટનાઓ પાવાગઠ, સુરત, વેરાવળ સહિત ગુજરાતમાં ઘણા સ્થળે જોવા મળી હતી. લોકશાહીમાં મતદાતા રાજા હોય છે ત્યારે તેઓ આ સમયે પોતાની માંગણીઓને સક્રિય રીતે રજૂ કરી રહ્યા છે અને જણાવી પણ રહ્યા છે કે હવે મતદારો શાણા થઈ ગયા છે તેમને ગમે તેમ કહીને ભોળવી નહીં શકાય.
પાવાગઢમાં ઐતિહાસિક વિરાસત ધરાવતું ચાંપાનેર આવેલું છે ત્યારે ત્યાંના ટૂરિસ્ટ ગાઇડને સરકાર તરફથી વેતન ન મળતું હોવાના પ્રશ્ને તેઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી. તો બીજી તરફ સુરતમાં ભાજપની યૌર્યાસી વિધાનસભા બેઠક પર ઉમેદવાર ઝંખના પટેલનો પણ ભારે વિરોધ થયો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિક અને માળખાગત સુવિધાઓના કોઈ ઠેકાણા જ નથી અને હવે લોકો મત માગવા આવી ગયા છે. સ્થાનિકોના આ રોષને જોતા ઉમેદવારે કામ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. જોકે આ ઘટનાથી ઉમેદવારો જાણી જ ગયા હશે કે જો ફક્ત વોટ માટે મોઢું બતાવીશું તો જનતા છોડશે નહીં. સુરતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ કે રાહુલ ગાંધી માટે આદર હોય પરંતુ તેમના ઉમેદવારો જો અમારા કામ ન કરે તો અમને શું લાભ થવાનો?
તો બીજી તરફ વેરાવળ અને પોરબંદરમાં માછીમારોએ પોસ્ટર લગાવ્યા હતા કે અમારો મત અમારા સમાજના હિતમાં હશે તેને જ મળશે. યુવા મતદારોએ જણાવ્યું હતું કે જે પક્ષ અમારી જરૂરિયાતોને સમજીને આગળ વધશે અમે તેને જ મત આપીશું, એમ કહીને તેમણે તેમની ઘણી માંગણીઓ અંગે પણ રજૂઆત કરી હતી. મતદાનની રાત તથા મતગણતરીનો સમય કોટકટીનો ગણાતો હોય છે ત્યારે હવે જનતા પણ બરાબર મૂડમાં આવીને ઉમેદવારોની ઝાટકણી કાઢી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.