સ્વામીની અપીલ આનંદીબેનને આપો ગુજરાતની ગાદી
સુબ્રહ્મણ્યમ સ્વામીની અપીલ ગુજરાતના મુખ્યમંત્રી બનાવો આનંદીબેન પટેલને. સાથે જ સ્વામીએ કહ્યું કે આનંદીબેનની લોકપ્રિયતા વધી રહી છે. વધુ વાંચો અહીં.
ગુજરાતમાં એક તરફ જ્યાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ સંભળાઇ રહ્યા છે. અને જ્યાં વિજય રૂપાણી ભાજપના પક્ષ લઇને તમામ મોર્ચે લડી રહ્યા છે ત્યાં જ આ તમામ વાતોની વચ્ચે ફરી પાછું આનંદીબેન પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવ્યું છે. ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું નામ જાહેર કરવાની ટ્વિટ કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે આનંદીબેન પટેલની લોકપ્રિયતા દિવસે અને દિવસે વધી રહી છે. જે જોતા તેમને ફરી ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પટેલ નેતા મુખ્યમંત્રી બને અને આનંદીબેન ફરી મુખ્યમંત્રી બને તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. તો બીજી તરફ અમિત શાહ ચૂંટણી પહેલા જ વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરી ચૂક્યા છે. એટલું જ નહીં હાલ ચૂંટણી પ્રચારના તમામ કાર્યક્રમોમાં રૂપાણીની ભાજપનું નેતૃત્વ કરી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે આનંદીબેનનું નામ આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વધુમાં આ પહેલા પણ આનંદીબેનનું નિમણૂક રાજ્યપાલ તરીકે થાય તેવી માંગણી ઊઠી હતી. પણ આનંદીબેન 75 વર્ષની વય મર્યાદાનું બહાનું નીકાળી તમામ મહત્વના પદોથી દૂર રહેવાની વાત કરી હતી. અને આ માટે જ કરીને તેમણે ગુજરાતના મુખ્યમંત્રીનું પદ પણ આ પહેલા છોડ્યું હતું. ત્યારે સ્વામીની વાત ભાજપ માને છે કે આંખ આડે કાન કરે છે તે હવે જોવું જ રહ્યું.