આણંદ: કરમસદથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ
રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કરમસદ, આણંદ ખાતે ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરાવ્યો હતો.
1 ઓક્ટોબરને રવિવારથી ભાજપની 15 દિવસ લાંબી ગુજરાત ગૌરવ યાત્રાનો આણંદના કરમસદ ખાતેથી આરંભ થયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની આગેવાનીમાં સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી આરંભાયેલી આ યાત્રા પહેલા દિવસે વડાદરાના ડભોઇ સુધી પહોંચશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હસ્તે આ યાત્રા શરૂ થઇ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યા હતા.

ગુજરાત ગૌરવ યાત્રાના પહેલા દિવસે આણંદ, પાદરા, કરજણ અને ડભોઇ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તથા 12 સ્થાનો પર આ યાત્રાનું સ્વાગત થશે. આણંદ અને વડોદરા એમ બે જિલ્લાના 6 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેતી આ યાત્રા પહેલા દિવસે 130 કિમીનો પ્રવાસ કરશે. ગુજરાત ગૌરવ યાત્રાના પ્રારંભ પહેલાં અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીએ કરમસદ ખાતે સરદાર પટેલ ગૃહની પણ મુલાકાત લીધી હતી.

કરમસદ બાદ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરથી જીતુ વાઘાણીની આગેવાની હેઠળ બીજા તબક્કાની ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ થશે. 'હું વિકાસ છું, હું ગુજરાત છું'ની થીમ પર આધારિત આ ગુજરાત ગૌરવ યાત્રા 4700 કિમી લાંબી હશે. 15 ઓક્ટોબરના રોજ આ યાત્રાના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.












Click it and Unblock the Notifications
