સુરતમાં સરકાર-પાટીદાર આમને સામને; કોણ કોને હંફાવશે?
રાજકીય વરણી પામેલા આગેવાનોને સન્માનવા સુરતના મોટા વરાછા ખાતે મહેશ સવાણી તેમજ અન્ય ઉદ્યોગપતિઓ દ્વારા તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ નવા સીએમ વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો અભિવાદન સમારોહ યોજાવાનો છે. જ્યાં એક બાજુ આ અભિવાદન સમારંભની જાહેરાત થઇ છે ત્યાં જ હાર્દિક પટેલ સમેત પાસના અનેક નેતાઓએ આ સમારોહ માટે વિરોધ જાહેર કર્યો છે.
તો બીજી તરફ આ કાર્યક્રમ કરનાર સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે ખુલાસો ક્યો છે કે હાર્દિક પટેલને નાયબ મુખ્યમંત્રી બનવું હતું. અનામત આંદોલન બંધ કરવા સમાધાનને મુદ્દે હાર્દિકે જ સરકાર સાથે સોદાબાજી કરી હોવાનો ધડાકો મુકેશ પટેલ દ્વારા કરતા જ પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
ત્યારે શું છે આ કાર્યક્રમ, કોણ કોણ હાજરી આપશે. આ કાર્યક્રમને લઇને હાર્દિક પટેલ અને અન્ય પાસ નેતાઓનું શું કહેવું છે. આ કાર્યક્રમ શાંતિપૂર્ણ થાય તે માટે અત્યાર સુધીમાં પોલિસે કોની કોની અટક કરી છે. તથા રાજકીય રીતે આ કાર્યક્રમ કેટલું અને કેવું મહત્વ ધરાવે છે તમામ વસ્તુઓ જાણો નીચેના આ આર્ટીકલમાં...

શું છે કાર્યક્રમ?
પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં 8મી સપ્ટેમ્બર એટલે કે કાલે અભિવાદ સમારંભ યોજાવાનો છે. જેમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મુખ્ય અતિથિ છે. તો વિજય રૂપાણી સમેત જીતી વાધાણી અને અન્ય 38 વિધાયકોનું આ કાર્યક્રમમાં પાટીદારો દ્વારા સન્માન કરવામાં આવશે.
બીજેપીની રાજરમત?
ત્યારે પાટીદાર આંદોલન દ્વારા બીજેપીને જે રીતે મોટું નુક્શાન પહોંચ્યું છે તે જોતા આ કાર્યક્રમ ભાજપ માટે ધણું મહત્વ ધરાવે છે. કારણ કે તે પાટીદારો દ્વારા પાટીદારોના ગઢ જેવા સુરતમાં પાટીદારોને સન્માનવા માટે કરાઇ રહ્યો છે. તો શું આ સમારંભ એક રીતે પાટીદારો અને સરકાર સાથેના સમાધાનના સંકેત આપે છે?

ભાજપ- પાસ આમને સામને
એક તરફ જ્યાં ભાજપ દ્વારા આ આંદોલનને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે અનેક પાસના નેતાઓની અટક કરવામાં આવી રહી છે. તો બીજી તરફ હાર્દિક પટેલથી લઇને અનેક પાસ નેતાઓ આ વાતનો ભારે વિરોધ કરી રહ્યા છે.
કોની થઇ અટક?
આવતીકાલે યોજાનારા કાર્યક્રમમાં કોઈ ડખો ન થાય તે માટે પાસના કન્વીનરોની અટકાયત કરવામાં આવી રહી છે. સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, પાટીદારોના કાર્યક્રમને લઈને સૌરાષ્ટ્રના પાસના કન્વીનર લલિત વસોયા અને વરુણ પટેલની સરથાણા પોલીસે અટકાયત કરી છે.

કોની કોની અટક?
ઉપરાંત રાજસ્વી સન્માન કાર્યક્રમનો વિરોધ કરનારા રેશ્મા પટેલ, મનોજ પનારા, નિરવ પટેલ સહિતના કન્વીનરોને શોધવામાં પોલીસ કાર્યરત થઈ ગઈ છે.
હાર્દિક પટેલ શું કહ્યું?
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તેવા અમિત શાહને જનરલ ડાયર સાથે સરખાવીને હાર્દિક પટેલે તમામ પાટીદારોને આ કાર્યક્રમમાં ન જોડાઇ અને તેનો વિરોધ કરી પાટીદારોની એકતા બતાવાનું આહ્વાહન કર્યું છે.

હાર્દિકને બનવું હતું ડેપ્યુટી સીએમ: મુકેશ પટેલ
તો બીજી તરફ આ કાર્યક્રમના મુખ્ય આયોજક તેવા મુકેશ પટેલ હાર્દિક પટેલ અંગે અનેક ચોંકવનારા ખુલાસા કર્યા છે. ઉદ્યોગપતિ મુકેશ પટેલ અને મહેશ સવાણીએ હાર્દિક પટેલના મનસુબા જાહેર કરતાં જણાવ્યું હતું કે હાર્દિકને ડેપ્યુટી સીએમ બનવું હતું.
હાર્દિક પર મુકેશ પટેલનો આરોપ
ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનના સમાધાન માટે એક સમયે મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા મુકેશ પટેલ અને મહેશ સવાણીએ હાર્દિક પટેલને અવારનવાર જેલમાં મળી ચૂક્યા છે. અને આ જ ઉદ્યોગપતિઓ જ રાજસ્વી સન્માનનું આયોજન કરી રહ્યા છે.
પાસમાં ફૂટ
નોંધનીય છે કે હાર્દિક પટેલના જેલમાંથી બહાર આવ્યા બાદ પાટીદાર અનામત આંદોલનમાં અંદર અંદરની ફૂટ સ્પષ્ટ પણે બહાર આવી છે. ચિરાગ કેતનનુ રાજીનામું, નિખિલની દૂરી, રેશ્માની ઓડિયો ક્લિપ અને દિનેશ પટેલના હાર્દિક પર આક્ષેપ. અને હવે પાટીદારો જ દ્વારા ભાજપનો આવો અભિવાદન સમારંભ મૂંગે મોઢે ધણું કહી જાય છે.
કોણ કોને હંફાવશે?
ત્યારે ખરો ખેલ તો કાલે જ ખબર પડશે. ત્યારે આ કાર્યક્રમની સફળતા કે નિષ્ફળતા ગુજરાત કે પછી પાસના આવનારા દિવસોનું ભાવિ નક્કી કરશે. ત્યારે આ કાર્યક્રમ ગુજરાતના રાજકારણના અનેક નવા પાસા ખુલાશે તે વાત તો પાક્કી છે.












Click it and Unblock the Notifications
