કેન્દ્રની કરોડોની સહાય છતાં ગુજરાતને અસંતોષ : શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે અછતમાં મદદરૂપ થવા ગુજરાતને કરોડો રૂપિયા ફાળવ્યા હોવા છતાં ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારના પશુપાલકો, ખેડુતો, તથા આમ આદમીને ગુજરાતની ભાજપની સરકાર સહેજ પણ મદદરૂપ થવા માટે પ્રયત્ન કરતી નથી.
ભૂતકાળમાં જ્યારે અછત જાહેર થતી ત્યારે લોકોને ધેર ધેર ટેન્કર કે અન્ય વ્યવસ્થા કરીને પણ સરકારી ખર્ચે સરકાર પીવાનું પાણી પુરું પાડતી હતી. આ વર્ષે અછતગ્રસ્ત વિસ્તારના શહેરો હોય કે ગામડાઓ હોય લોકોએ વેચાતું પાણી લઈને પીવું પડે છે. લોકો દૂધ કરતા પાણીના રૂપિયા વધારે ચૂકવે છે. પરંતુ સરકાર પાણીની વ્યવસ્થા કરતી નથી.
જ્યારે જ્યારે અછત જાહેર થાય ત્યારે ગામે ગામ ઢોરવાડા શરૂ કરવાનું કામ સરકારી તંત્ર જ કરતું હતું આ વર્ષે મુંગા પશુઓ ધાસ અને પાણી વગર ટળવળીને મ્રુત્યુ પામ્યા છે. પરંતુ ક્યાય કોઈ પણ જગ્યાએ ઢોરવાડા (કેટલ કેમ્પ ) શરૂ કરવામાં આવ્યા નથી. આછતગ્રસ્ત વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને રોકડ સહાય (કેશ ડોલ્સ ) તાત્કાલિક ચુકવવામાં આવતા હતા. કમનસીબે વર્તમાન સરકાર તરફથી ગરીબ માણસ માટે કોઈ જ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી.
આ વર્ષે અછતગ્રસ્ત વિસ્તારમાં એક પણ કામ રાહતના ધોરણે શરૂ કરવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયા પ્રાપ્ત થયા હોવા છતા ગુજરાતના અછતગ્રસ્ત લોકો માટે સરકાર તરફથી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ખેડુતોના ખેતરમાં સરકારે 24 કલાક વિજળી પુરી પાડવી જોઈએ તેના બદલામાં ખેડુતોને જ 10 કલાક વિજડી મળતી હતી .તેમાં પણ કાપ મુવામાં આવ્યો છે.