‘ક્લાઈમેટ ચેન્જ’ અંગેની સાયન્સ એક્સપ્રેસ ટ્રેન આવશે ગુજરાત
બદલાતા હવામાન અને તેની અસરોને લોકો સમજી શકે તેવી વિજ્ઞાન એક્સપ્રેસ ટ્રેન ને નવમી વખત ભારત ભ્રમણ માટે ખુલ્લી મુકાશે. તેના ભાગ રૂપે એ ટ્રેન ગુજરાતમાં ગાંધનગર ખાતે આવશે. આ અંગે વધુ વાંચો અહીં..
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તેમજ રેલવે મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હી ખાતેથી કલાઈમેટ ચેન્જ વિષય સાથે નવમા તબક્કામાં દેશના વિવિધ શહેરોમાં ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ આવે તે હેતુથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ.હર્ષ વર્ધનના હસ્તે તા.૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ સાયન્સ એક્સપ્રેસ કલાઈમેટ એકશન સ્પેશિયલને લીલીઝંડી બતાવીને શરૂઆત કરવામાં આવશે. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ આ ટ્રેન આગામી તા. ૫થી ૮ સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગરના અડાલજ નજીકના ખોડિયાર રેલવે સ્ટેશન ખાતે જાહેર જનતા માટે પ્રદર્શન અર્થે રોકાશે અને કલાઈમેટ ચેન્જની અસરો અંગે લોકોને જાગૃત કરશે.
આ ટ્રેન અંગે વાત કરવામાં આવે તો તેમાં અલગ-અલગ ૮ પ્રદર્શન કોચ સાથે છે. આ વાતાનુકૂલ સાયન્સ એક્સપ્રેસ ટ્રેન વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ તેમજ જાહેર જનતાના પ્રદર્શન અર્થે આ ચાર દિવસ દરમિયાન સવારે ૧૦.૦૦થી સાંજે ૫.૦૦ કલાક સુધી ખુલ્લી રહેશે. આ ક્લાઈમેટ ચેન્જ ટ્રેનના દરેક કોચમાં પર્યાવરણ અને તેનાથી લોકોના, જીમ જંતુઓ પર કેવી અસર થાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત સોલર પેનલથી પણ તેને સજ્જ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાયન્સ એક્સપ્રેસ એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને કેન્દ્ર સરકારનો વિશેષ કાર્યક્રમ છે. તે ૧૬ વાતાનુકૂલિત કોચ ધરાવતી રેલગાડીમાં મઢેલું ઓક્ટોબર ૨૦૦૭થી ભારતભરમાં ફરતુ એક અનોખું વિજ્ઞાન પ્રદર્શન છે. તેણે ૧,૬૦,૦૦૦ કિમીનો પ્રવાસ કરેલ છે આથી લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં બાર વિક્રમો નોંધાવનાર ભારતનું ફરતું વિજ્ઞાન પ્રદર્શન બન્યું છે.