CM ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાત લીધી
કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
ભારે વરસાદને કારણે જામનગર જીલ્લાનું ધુંવાવ ગામ બેટમાં ફેરવાયું હતું. નદીમાં ઘોડા પુર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું. જે કારણે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થયા હતા. આ સાથે જામનગરથી રાજકોટ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. આ સાથે વરસાદથી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.
મુખ્યમંત્રી એ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા જણાવ્યું હતું કે, કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેક્ટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના તેમજ પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડીને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી હતી.
આ સાથે તેમને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા માટે જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી હતી. જેના પગલે હેલીકોપ્ટર દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.