CM વિજય રૂપાણીએ વિદેશમાં વસતાં ગુજરાતીઓ સાથે કર્યો સંવાદ
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી વિદેશમાં વસતાં ગુજરાતીઓને સંબોધન કર્યુ હતું.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી વિદેશમાં વસતાં ગુજરાતીઓને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે વિદેશમાં વસતાં ગુજરાતીઓને વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ સામે લડવાનો અને વિજયી થવાનો વિશ્વાસ વ્યકત હતો. તેમણે વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓને વાયરસના સંક્રમણ અને વ્યાપને વધતો અટકાવવા કેળવેલી સજ્જતા અને આગોતરા સમયબદ્ધ આયોજનની પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આજે આખું વિશ્વ કોરોનાની મહામારીના ઝપેટમાં છે, ત્યારે આપણા સૌ માટે આ એક ચિંતાનો વિષય છે.
ગુજરાતમાં લોકડાઉન પહેલાં તૈયારી કરી હતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, ભારતમાં કોરોનાનો પ્રકોપ શરૂ થયો તે પહેલાં દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકોપ થઇ ચૂક્યો હતો. ભારતે અગમચેતીના ઘણા પગલાઓ હિંમતથી લીધા છે. ભારતભરમાં લોકડાઉન જાહેર કરી દીધું છે. ગુજરાતમાં પબ્લિક અવેરનેસ શરૂ કરી જાહેર સ્થળો બંધ કરી દીધા હતા. લોકડાઉન જાહેર કર્યું ત્યારે ગુજરાત વધુ સારી રીતે તૈયાર હતું. ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા અને આરોગ્ય માળખું પહેલેથી મજબૂત છે અને તેને જ કારણે રેકોર્ડબ્રેક માત્ર 7 દિવસોમાં 2200 બેડની કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરી શક્યા. ગુજરાતના તમામ જિલ્લાઓમાં 100-100 બેડની એમ લગભગ 3000 બેડની વ્યવસ્થાઓ પણ ઊભી કરી દીધી. આજે 31 ખાનગી હોસ્પિટલો જે વાત્સલ્ય, મા અમૃત્મ જેવી યોજનાઓમાં સરકારની સાથે છે તેમાં પણ 4000 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતે લગભગ 9,500થી 10,000 જેટલા બેડની આગોતરી વ્યવસ્થા કરી છે. જેમાંથી 1000 બેડ વેન્ટિલેટરથી સજ્જ છે.
ગુજરાત અન્ય દેશોને પણ મદદ કરવા સક્ષમ
ગુજરાતમાં ટેસ્ટિંગ, ટ્રિટમેન્ટ, કોરેન્ટાઇન, કલ્સટર કોરેન્ટાઇનની સુવિધાઓ હોવાને કારણે રાજ્યમાં કોરોનાના ફેલાવાને સિમિત રાખવામાં આપણે અંશત સફળ પણ થયા છીએ. અત્યારે ટેસ્ટિંગની સંખ્યામાં ઘરખમ વધારો કર્યો છે. વેન્ટિલેટર પણ ગુજરાતમાં જ બનાવીએ છીએ. એન-95 માસ્ક, થ્રી-લેયર માસ્ક, PPE કિટ પણ ગુજરાતમાં બનાવવામાં આવી રહી છે. ગુજરાતની ફાર્મા કંપનીઓ પણ સમ્રગ વિશ્વમાં કોરોના સામે લડવાની પ્રાથમિક દવાઓ બનાવીને પૂરી પાડી રહી છે. આમ ગુજરાત પોતાનું ધ્યાન તો રાખી રહ્યું છે સાથે જ ભારતની ચિંતા કરીને અન્ય દેશોને પણ મદદ કરવા માટે ગુજરાત તત્પર છે.
90 લાખથી વધુ ફૂડ પેકેટ વિતરણ કરાયા
લોકડાઉનને કારણે કરોડો લોકોની જિંદગી અટકાઇ પડી છે. ત્યારે સૌને જીવન-જરૂરિયાતની વસ્તુઓ મળે એના માટે રાજ્ય સરકારે પણ ઉત્તમ વ્યવસ્થા કરી છે. દુઘ, શાકભાજી, કરિયાણું અને દવાઓ જેવી વસ્તુઓની લોકડાઉનમાં કોઇપણ તકલીફ ન પડે તેના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમાજ-સેવી સંસ્થાઓ પણ આગળ આવી છે અને લગભગ 90 લાખથી પણ વધુ ફૂડ-પેકેટનું વિતરણ પણ રાજ્ય સરકાર કરી ચૂકી છે.
વિદેશી ગુજરાતીઓને કાળજી રાખવા અપીલ
વિજય રૂપાણીએ વિશ્વભરમાં વસતા ગુજરાતી ભાઇઓ-બહેનોને વિશ્વાસ આપ્યો કે, આપ સૌ ગુજરાત માટે ચિંતિત છો. ત્યારે તમારા સગા-વ્હાલા, સ્વજનો અને સાડા છ કરોડ ગુજરાતીઓની ચિંતા ગુજરાતની સરકાર કરી રહી છે. તમારે કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મુખ્યમંત્રીએ વિદેશમાં વસતાં ગુજરાતીઓને પણ આ મહામારીમાં પોતાનું ધ્યાન રાખવાની અને આરોગ્યપ્રદ આહાર સેવન કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ રાજ્યમાં ત્રણ મોટા શહેરોમાં 5 પેરા મિલિટરી દળ અને રેપિડ એક્શન ટીમ કાર્યરતઃ શિવાનંદ ઝા