ગુજરાતમાં કથિત લવજેહાદના કેસમાં પુરાવા વિના નહીં થઈ શકે ફરિયાદ, હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાતમાં કથિત લવજેહાદના કેસમાં પુરાવા વિના નહીં થઈ શકે ફરિયાદ, હાઈકોર્ટે શું કહ્યું?
ગુજરાતમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 (કથિત લવ જેહાદ)ના કાયદા મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કથિત લવજેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઈકોર્ટે તત્કાળ રોક લગાવી દીધી છે.
ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાના અમલ પર હાઈકોર્ટે રોક લગાવી છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની પીઠે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
આ પિટિશનના અરજદાર ગુજરાત માઇનોરિટી કો-ઑર્ડિનેશન કમિટિના વડા મુજાહિદ નફીસે કહ્યું કે, ગુજરાત સરકારે પસાર કરેલો કાયદો બંધારણીય અધિકારોનું હનન કરતો હતો અને બે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચે દીવાલ બની ગયો હતો.
એમણે કહ્યું કે, માનનીય ગુજરાત હાઈકોર્ટ મૂળ ભાવનાને સમજીને કલમ 3,4,5,6ને સ્ટે કરી છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, આંતરધર્મીય લગ્નમાં માત્ર લગ્નના આધારે ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, બળજબરી કે દબાણ કે લોભ લાલચ દ્વારા લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય આ કાયદા હેઠળ એફઆઈઆર થઈ શકશે નહીં.
અગાઉ ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે લોભ-લાલચ કે બળજબરીથી કરવામાં આવતું ધર્મપરિવર્તન યોગ્ય નથી તે સમજી શકાય, પરંતુ કોઈ લગ્ન કરવા માટે ધર્મપરિવર્તન કરે તો તે પણ ગુનો ગણાય?
- "અંતે તો પ્રેમનો જ વિજય થશે" - લવજેહાદના વિવાદ વચ્ચે અડગ હિંદુ-મુસ્લિમ પ્રેમની કહાણી
- અફઘાનિસ્તાનની આજની લેટેસ્ટ અપડેટ વાંચો અહીં ક્લિક કરીને
શું છે મામલો અને વિવાદ?
એપ્રિલ 2021માં ગુજરાત સરકારે વર્ષ 2003ના કાયદાની કલમ 3 સહિતની કેટલીક કલમોમાં સુધારો કરીને બિલ રજૂ કરી તેને પાસ કરતા તે નવો કાયદો - ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ઍક્ટ-2021 બન્યો. આને કથિત લવજેહાદ સામેનો કાયદો ગણવામાં આવે છે.
એ વખતે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે પત્રકારો સમક્ષ કહ્યું, "ધર્મ સ્વાંત્રત અધિનિયમ 2003ની અંદર નવા સુધારોઆના માધ્યમથી નવું બિલ તૈયાર કરી કાયદો લવાયો છે. લવ જેહાદ સામેનો આ કાયદો (બિલ) છે."
તેમણે કહ્યું, "નાની, કુમળી માનસિકતા ધરાવતી દીકરીઓ જેમને લવ જેહાદના નામે ધર્માંતરણ કરાવી એની સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ આવી અનેક દીકરીઓનું જીવન નરક બનવારા જેહાદીઓ સામે કડક કાર્યવાહી માટે સરકારે આ પગલું ભર્યું છે."
પરંતુ તેની કલમ 3 સહિતની અમુક સુધારેલી કલમોને પડકારતી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
કાયદાની જે કલમ 3 સુધારવામાં આવી હતી તેમાં 'બળજબરીથી થતા ધર્માંતરણના નિષેધ'ને ફરીથી વ્યાખ્યાયિત કરાયું હતું. નવા સુધારા અનુસાર કહેવાયું કે, "કોઈ પણ વ્યક્તિ ન ધર્માંતરણ કરાવશે કે ન તેની કોશિશ કરશે, ના પરોક્ષ રીતે ન પ્રત્યક્ષ રીતે. એક ધર્મમાંથી બીજા ધર્મમાં જવા માટે કોઈ વ્યક્તિ કોઈને લાલચ આપશે નહીં અથવા છેતરીને આવું કરાવશે પણ નહીં. અથવા લગ્ન કરીને કે લગ્ન કરાવીને અથવા વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરવી પ્રતિબંધિત છે."
પરંતુ આ કલમને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી રજૂઆત સુપરત કરી હતી કે, "આંતરધાર્મીય લગ્નો પર રોક નથી. કાયદામાં જે બાબત અને કારણો સામે રોક રાખવામાં આવી છે, તે બળજબરીથી ધર્માંતરણ ન થાય તેના માટે વ્યાખ્યાયિત કરી લખવામાં આવી છે. તેમાં જે શબ્દ 'લગ્ન' પ્રયોજવામાં આવ્યો છે તેને તેની સાથેના શબ્દો અને વાક્યો સાથે રંગ આપવામાં આવી રહ્યો છે."
તેમનું કહેવું છે કે અહીં સંદર્ભ 'લગ્ન' મામલે એટલો જ છે કે 'બળજબરી, લાલચ કે અન્ય છેતરપિંડી દ્વારા કરવામાં આવેલા લગ્ન.'
બીજી તરફ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથના વડપણની પીઠે આ મામલે અવલોકન કર્યું હતું અને કહ્યું હતું કે, "આ કલમો આંતરધર્મીય લગ્ન કરનારા યુગલો પર એક લટકતી તલવાર જેવી છે. કાયદાને વાંચતી વખતે એવું કહી નથી શકાતું કે આંતરધાર્મીય લગ્નને મંજૂરી છે."
આ અંગે ટિપ્પણી આપતા ગુજરાતના નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું, "આ મામલે નામદાર હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે કે કૉમેન્ટ કરી છે, તેના વિશે ઍડ્વોકેટ જનરલ દ્વારા મુખ્ય મંત્રી, ગૃહવિભાગ તથા કાયદા વિભાગને ટિપ્પણી મોકલવામાં આવતી હોય છે."
"જેનો અભ્યાસ કર્યા બાદ કાયદાકીય રીતે શું થઈ શકે કે કરવું જોઈએ, તે અંગે નિર્ણય લેવામાં આવશે."
https://www.youtube.com/watch?v=cTBg-hRnkMg
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો