રાજ્યમાં ગંભીર પ્રશ્નોની ચર્ચા માટે એક દિવસનું સત્ર બોલાવવાની માંગ
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. ગતરોજ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતુ કે, કોંગ્રેસ એ એક વિચારધારા છે. રાજ્યમાં આજે લોકશાહીને બચાવવી ખૂબ જરૂરી છે. આજે પાટીદાર સમાજ, દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લધુમતી સમાજના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિના પ્રશ્નો જેવા ગંભીર પ્રશ્નો રાજ્યમાં ઉપસ્થિત થયા છે, ત્યારે આ તમામ મુદ્દે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા કોંગ્રેસ પક્ષ માંગણી કરશે.
કૉંગ્રેસે લોકોના પ્રશ્નો ફ્લોર પર ઉઠાવ્યા
પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસે પોતાની ફરજ નિભાવી છે. સમાજો-સંગઠનો પોતાની વેદના-પ્રશ્નો સાંભળવા કે સરકારે આપેલ વચનો ન નિભાવવામાં આવતા હોય તેવા પ્રશ્નો અંગે પણ કોંગ્રેસ પક્ષે સમાજો-સંગઠનોની લાગણી-માંગણી સમજી વિધાનસભાના ફલોર ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે અને ઉઠાવતો રહેશે. પરંતુ ભાજપની કરણી-કથનીમાં ફેર છે. ચૂંટણી જીતવા ગમે તેવા વચનો આપી દેવા અને ચૂંટણી બાદ આપેલ વચનો ભૂલી જવા તે ભાજપનું કામ છે. ભાજપ એ ભૂલી જાય છે કે "પોદળા પડયા પછી ઉખાડીએ તો ધુળ લઈને જ આવે' તેમ ભાજપ વચનો આપીને ફરી જાય છે, પરંતુ પ્રજા તે ભુલી નથી અને સમય આવ્યે પ્રજા ભાજપને જડબાતોડ જવાબ આપશે જ.
રાજ્યમાં મહિલાઓ અસુરક્ષિત
ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ થઈ છે તેમજ ૧૮૮૭ મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સૂત્રો આપવામાં શૂરી ભાજપ સરકાર મહિલાઓને સલામતી આપવાની માત્રને માત્ર વાતો જ કરે છે, પરંતુ મહિલાઓને સલામતી બક્ષી શકતી નથી.
પાટીદાર પંચાયતમાં ઉભા થયેલા પ્રશ્નો પર વિશેષ સત્ર
પાટીદાર પંચાયતમાં ઉભા થયેલા પ્રશ્નો અંગે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા કૉંગ્રેસ માંગણી કરશે. પાટીદારો ઉપર થયેલા ખોટા કેસ અને બહેનોની કરેલી બેઈજ્જતી માટે માલવણ ખાતે પાટીદાર ન્યાય પંચાયતમાં લેવાયેલ નિર્ણય મુજબ તેમજ ન્યાય પંચાયતમાં થયેલ ઠરાવો મુજબ પાટીદાર બહેન-દીકરીઓ ઉપર થયેલા અમાનુષી અત્યાચાર અને પાટીદાર યુવાનો પર થયેલ ૨૨ હજાર જેટલા ખોટા કેસ, હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહના તથા અન્ય ગુનાઓ દાખલ થયેલ છે, તે અંગે બંને પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ કેસો પાછા ખેંચવા માટે પાટીદાર યુવાનોને હાર્દિક પટેલના નેતૃત્વમાં ખાતરી આપી હતી. હાલ ભાજપની સરકાર હોઈ અન્યાય સામે ન્યાય મેળવવા માટે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવા હાજર રહેલ કોંગેસ પક્ષના ૧૨ ધારાસભ્યશ્રીઓ તરફથી થયેલ સૂચન સહિતનો પત્ર મળ્યો છે.
વિપક્ષનું કામ લોકોની સમસ્યાને વાચા આપવાનું છે
પાટીદાર સમાજની લાગણી-માંગણી પહોંચાડવા કોઈ વ્યક્તિ સમાજની વેદના વિરોધપક્ષ સમક્ષ વ્યક્ત કરે તે સમસ્યાના નિવારવા માટે વિરોધપક્ષ રજૂઆતો કરે, સમસ્યાને વાચા આપે તે કામ વિરોધપક્ષનું છે. આ સમસ્યાઓનું નિવારણ કરવાનું કામ સત્તાપક્ષનું છે. સરકાર સુધી પ્રજા વતી જે પ્રશ્નો વિરોધપક્ષ દ્વારા સરકારને મળ્યા હોય તેની ખુલ્લા મને ચર્ચા કરવા સરકારે વિશેષ સત્ર બોલાવવું જોઈએ. આજે પાટીદાર સમાજ, દલિત સમાજ, બક્ષીપંચ સમાજ, લધુમતી સમાજના પ્રશ્નો, ખેડૂતોના પોષણક્ષમ ભાવ સહિત પાક વીમાના પ્રશ્નો, યુવાનોના રોજગારીના પ્રશ્નો અને રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો ઉભા થયા છે, જે વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવશે.