કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાની અવગણના થાય છેઃ નીતિન પટેલ
વલસાડ ખાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ શંકરસિંહ વાઘેલા જેવા દિગ્ગજ નેતાની અવગણના કરી રહ્યું છે.
મંગળવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વલસાડ પહોંચ્યા હતા. વલસાડમાં મ્યુનિસિપલ હોસ્પિટલના લોકાર્પણ માટે પહોંચેલ નીતિન પટેલે મીડિયા સાથે પણ વાત કરી હતી. અહીં તેમણે રાજકારણ અને કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના મુદ્દે ખુલીને વાતચીત કરી હતી. છેલ્લા ઘણા સમયથી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પક્ષ વચ્ચે મતભેદ હોવાની વાતો બહાર આવી રહી છે.
વલસાડ ખાતે આ અંગે વાત કરતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે કે કેમ એનો નિર્ણય તેમણે કરવાનો છે. આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. શંકરસિંહ વાઘેલા ખૂબ સીનિયર નેતા છે અને કોંગ્રેસમાં તેમની અવગણના થઇ રહી છે. કોંગ્રેસનું શંકરસિંહ પ્રત્યેનું વર્તન દુઃખજનક છે. તેમને માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. હવે નિર્ણય શંકરસિંહે લેવાનો છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે જ ખબર આવ્યા હતા કે બાપુએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. જો કે, આ ખબર ખોટા સાબિત થયા હતા. ખબર ફેલાયા બાદ શંકરસિંહ વાઘેલાએ આ તમામ સમાચારોને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે, હું હજુ પણ કોંગ્રેસ સાથે જ છું.