કોંગ્રેસના શહેઝાદા રાહુલ 3 અને 4 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે
અમદાવાદ, 30 સપ્ટેમ્બર : કોંગ્રેસના શહેઝાદા ગણાતા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ સપ્તાહે ગુજરાતની મુલાકાત લેવાના છે. રાહુ ગાંધી 3 અને 4 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે અને કોંગ્રેસના આગેવાનો સાથે બેઠકોનો દોર યોજશે. રાહુલના વિગતવાર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ નથી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાલ નક્કી થયા મુજબ તેઓ 3 ઓક્ટોબરે અમદાવાદમાં અને 4 ઓક્ટોબરે આખો દિવસ રાજકોટમાં કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકરો સાથે બેઠકો યોજવાના છે. આ મુલાકાતમાં તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અગ્રણીઓની અલગ અલગ બેઠક યોજવાના છે.
રાહુલ ગાંધી શુક્રવારે સવારે 10 વાગ્યે રાજકોટ આવી પહોંચશે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પ્રમુખો અને તાલુકા પંચાયતથી ઉપરની કક્ષા સુધી ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સમુહ બેઠકને સંબોધન કરી સૂચનો માગશે. ત્યારબાદ જિલ્લાવાર પાર્ટીના પ્રમુખો, પ્રભારીઓ અને ધારાસભ્યો, સાંસદોની બેઠકોનો દૌર શરૂ થશે. બેઠકમાં રાજ્યભરના કોંગ્રેસના 200 જેટલા અગ્રણીઓ હાજરી આપશે.
રાહુલના કાર્યક્રમ સંદર્ભમાં કોંગ્રસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા સતત પ્રદેશ પ્રભારી ગુરૂદાસ કામત અને દિલ્હી હાઇકમાન્ડ સાથે સંપર્ક કરી રહ્યા છે. ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર કર્યા હોવાથી કોંગ્રેસે મોદીને ઘર આંગણે જ ભીડવવાની નીતિ અપનાવી છે. તે સંદર્ભે રાહુલ ગાંધીની મુલાકાત મહત્વની માનવામાં આવે છે. તેઓ સમગ્ર સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિનો ચિતાર મેળવી લોકસભાની ચૂંટણીમાં જરૂરી ફેરફાર કરવા માગે છે. રાહુલ ગાંધીના આગમનને અનુલક્ષીને ટૂંક સમયમાં સુરક્ષા જવાનોનું રાજકોટમાં આગમન થશે.