રાહુલ ગાંધી ફરી આવશે મધ્ય ગુજરાતના પ્રવાસે
કોંગ્રેસના યુવરાજ હાલ ભલે દિલ્હી પરત ફર્યા હોય. પણ રાહુલ ગાંધી ઓક્ટોબરમાં ફરી મધ્ય ગુજરાતની ત્રણ દિવસની યાત્રા પર આવી રહ્યા છે. જ્યાં તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરશે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે જલારામ મંદિરની મુલાકાત લઇને તેમની ત્રણ દિવસની યાત્રા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. અને આજે વહેલી સવારે તે દિલ્હી પરત ફર્યા હતા. નોંધનીય છે કે સૌરાષ્ટ્ર અને વિવિધ મંદિરોને આવરતી તેમની આ ત્રણ દિવસની યાત્રા તો અહીં પૂરી થઇ છે પણ રાહુલ ગાંધી ફરી મધ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં 9,10,11 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધી મધ્ય ગુજરાતની મુલાકાત લેશે. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જોરશોરની ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે.
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ આ ત્રણ દિવસની મુલાકાતમાં મોદી અને વિજય રૂપાણી સરકારને આડે હાથે લીધી હતી. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓને લોન આપે છે. તેમના દેવા માફ કરે છે પણ ખેડૂતોના દેવા માફ નથી કરતી. સાથે જ તેમણે કહ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો તેમની સરકાર 10 જ દિવસમાં ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરશે. સાથે જ તેમણે ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી બનતા જોવાની વાત પણ ઉચ્ચારી હતી. વધુમાં નોટબંધી અને જીએસટી તથા ભારતની નબળી અર્થવ્યવસ્થા પર પણ ટિપ્પણી કરી હતી. સાથે જ પાટીદારો પર ગુજરાત સરકારે અત્યાચાર કર્યો છે તેમ કહી પાટીદારોની ટોપી પણ પહેરી હતી.