અમદાવાદ: પ્રવીણ તોગડિયાની ધરપકડનો મામલો, SG હાઇવે ચક્કાજામ
સોમવારે રાજસ્થાન પોલીસ અને ગુજરાતની સોલા પોલીસ વિશ્વહિંદુ પરિષદના પ્રવીણ તોગડિયાના ઘરે પહોંચ્યા હતા. સોમવારે બપોરે 11 વાગે કાર્યાલય પરથી પ્રવીણ તોગડિયાની ધરપકડ થઇ હતી.
સોમવારે રાજસ્થાન પોલીસ અને ગુજરાતની સોલા પોલીસ વિશ્વહિંદુ પરિષદના પ્રવીણ તોગડિયાના ઘરે પહોંચ્યા હતા. જો કે, પ્રવીણ તોગડિયા ઘરે ન મળતા રાજસ્થાન પોલીસ પરત ફરી ગઇ હતી. તો બીજી તરફ એવી પણ વાત વહેતી થઇ છે કે, સોમવારે બપોરે 11 વાગે કાર્યાલય પરથી પ્રવીણ તોગડિયાની ધરપકડ થઇ હતી. જે પછી વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ એસ.જી. હાઇવે પર ઉતરી આવ્યા હતા, જેને કારણે ચક્કાજામ થયો હતો. તેમણે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના 10 વર્ષ જૂના રમખાણના એક કેસમાં પ્રવીણ તોગડિયાનું નામ સામે આવતા એ મામલે પોલીસ તેમના ઘરે પહોંચી હતી.
વિશ્વ હિંદુ પરિષદનો આરોપ છે કે, પ્રવીણ તોગડિયા ભાજપ અને સંઘની ઇચ્છા વિરુદ્ધ જઇને ફરીથી અધ્યક્ષ બન્યા હોવાથી તેમને ખસેડવા માટે રાજકારણીઓ યોજના બનાવી રહ્યા છે અને એના ભાગ રૂપે જૂના કેસમાં તેમનું નામ ખોલવામાં આવ્યું છે. કેટલાક સૂત્રોએ એમનું એન્કાઉન્ટર થાય એવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. આ કારણે આરએસએસ અને વીએચપીમાં હલચલ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ભાજપના સાંસદ આત્મારામ પટેલના ધોતિયાકાંડ મામલે 22 વર્ષ બાદ પ્રવીણ તોગડિયા સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.