ડો. મનમોહન સિંહ: બૂલેટ ટ્રેન પર સવાલ કરનાર વિકાસ-વિરોધી?
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતની મુલાકાતે ડૉ. મનમોહન સિંહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 7 નવેમ્બરે ગુજરાત આવી પહોંચ્યા હતા. તેમણે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય સ્મારક પહોંચ્યા હતા. તેઓ અહીં વેપારીઓ સાથે નોટબંધી અને જીએસટી મામલે વાત કરશે અને ત્યાર બાદ વેપારી સાથે પ્રશ્નોત્તરી પણ કરશે. ડૉ. મનમોહન સિંહની આ ગુજરાત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂર્ણ થશે અને આ દિવસને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ 'કાળા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી તો ભાજપે આ દિવસને 'કાળા નાણાં વિરોધી દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આથી આગામી ચૂંટણીને જોતાં મનમોહન સિંહની આ મુલાકાતનું મહત્વ પહોંચી જાય છે.
ડૉ. મનમોહન સિંહે અહીં નોટબંધી અંગે વાત કરતાં કહ્યું હતું કે, નોટબંધીનો નિર્ણય વિનાશકારી હતો. 1 દેશ, 1 ટેક્સ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલાં જો પીએમ મોદીએ સરદાર પટેલ પાસેથી પ્રેરણા લીધી હોત તો આજે પરિણામ અલગ આવ્યું હોત. શું પીએમ મોદીએ બૂલેટ ટ્રેનના વિકલ્પ તરીકે બ્રૉડ ગેજ રેલવે અંગે વિચાર કર્યો હતો? તેમણે આગળ કહ્યું હતું કે, બૂલેટ ટ્રેન અંગે સવાલ કરવાથી શું કોઇ વિકાસ-વિરોધી બની જાય છે? જીએસટી અને નોટબંધી પર સવાલ કરવાથી શું તમે ટેક્સ બચાવનારા બની જાઓ છો? દરેક પર શંકા કરવાનો આ દ્રષ્ટિકોણ, કોઇને ચોર કે રાષ્ટ્રવિરોધી માનવા, નિમ્ન સ્તરના નિવેદનો, આ બધું લોકતાંત્રિક સંવાદ માટે હાનિકારક છે. નોટબંધી અને જીએસટી આપણા અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થયા છે, આ નિર્ણયે નાના વેપારીઓની કમર તોડી નાંખી છે. મેં પાર્લામેન્ટમાં જે કહ્યું હતું એ જ ફરી કહીશ, નોટબંધી સંગઠિત લૂંટ છે, જે કાયદાકીય રીતે કરવામાં આવી છે.
તેમણે આગળ કહ્યું કે, આંતકવાદના ડરને કારણે ભારતીય વેપારમાં વિશ્વાસ ઘટ્યો છે અને રોકાણમાં ઘટાડો થયો છે. વર્ષ 2016-17 પહેલાં છ માસમાં ભારત ચીનમાંથી 1.96 લાખ કરોડની આયાત કરતું હતું, 2017-18માં આ આંકડો વધીને 2.41 લાખ કરોડ થયો. અર્થવ્યવસ્થામાં રોકડનો ઓછા ઉપયોગ માટે પ્રોત્સાહન આપવા માટે નોટબંધી જેવો કઠોર નિર્ણય ન લેવો જોઇએ. હું આજે ગર્વપૂર્વક કહી શકું છું કે, અમે 140 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. 8 નવેમ્બરનો દિવસ લોકતંત્ર અને અર્થવ્યવસ્થા માટે કાળો દિવસ છે. દુનિયાના કોઇ દેશે આટલો કઠોર નિર્ણય નહીં લીધો હોય, જે દેશનું 86 ટકા ચલણી નાણું સમાપ્ત કરી દે.
ડૉ. મનમોહન સિંહ સરદાર પટેલ સ્મારક પહોંચ્યા કે ત્યાં હાજર લોકોએ 'જય સરદાર' અને 'જો બોલે સોનિહાલ સશ્રીયાકાલ'ના નારા લગાવ્યા હતા, વળી 'સિંઘ ઇઝ કિંગ'ના પણ નારા લાગ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મનમોહન સિંહના વડાપ્રધાનના સમયગાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેમણે ભારતને મંદીમાંથી બચાવ્યું. તો ચૂંટણી પ્રભારી અશોક ગેહલોતે કહ્યું હતું કે, ભાજપ સરકાર દેશની ખરાબ થતી આર્થિક સ્થિતિને સુધારવા માંગતી હોય મનમોહન સિંહના જ્ઞાનનો લાભ લેવો જોઇએ. ભાજપે તેમના જ્ઞાનનો લાભ લેવામાં નાનમ ન અનુભવવી જોઇએ.