"PM પોતાની છેલ્લી રેલીમાં જાહેર કરશે ગુજ. ચૂંટણીની તારીખો"
પી.ચિદમ્બરમે કહ્યું કે, મોદી તમામ ઘોષણાઓ કરી લેશે ત્યાર બાદ ગુજરાત ચૂંટણીની જાહેરાત થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ નથી. આ માટે વિપક્ષ સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. હાલમાં જ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરમે આ મામલે પીએમ મોદી પર હુમલો કરતાં ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, જ્યારે ગુજરાત સરકાર દરેક પ્રકારની છૂટની જાહેરાત કરી લેશે, ત્યાર બાદ ચૂંટણી તારીખોની ઘોષણા કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા પીએમ મોદીને ઑથોરાઇઝ્ડ કરવામાં આવ્યા છે કે, તેઓ પોતાની છેલ્લી રેલીમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરે અને ચૂંટણી પંચને એ અંગે જાણકારી આપી દે. પી. ચિદમ્બરમની આ તીખી ટિપ્પણીનો જવાબ આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, લાગે છે કે, પી.ચિદમ્બરમ અને કોંગ્રેસ પક્ષ ગુજરાત ચૂંટણીથી ડરે છે અને આ કારણે જ આવી વાતો કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ચૂંટણી પંચની પત્રકાર પરિષદમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી અને સાથે જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી 18 ડિસેમ્બર પહેલા યોજાશે, પરંતુ ચૂંટણીની તારીખો જાહેર નહોતી થઇ. ત્યાર બાદ સમાચાર આવ્યા હતા કે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં પૂર બાદ પુનર્વસનનું કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે, આથી સરકાર દ્વારા ચૂંટણી પંચને તારીખો પાછળ કરવા વિનંતી કરવામાં આવી હતી, જે ચૂંટણી પંચે સ્વીકારી હતી. ત્યાર બાદ વિપક્ષ તરફથી આ મામલે સતત પ્રહારો થઇ રહ્યાં છે. મતદાન અને મત ગણતરી વચ્ચે 40 દિવસના અંતરને લઇને કોંગ્રેસ સવાલ કરી રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે, રાજ્યમાં ચૂંટણી પહેલાં વિવિધ વાયદાઓ અને ઘોષણાઓ માટે સરકારને સમય આપવા માટે જ તારીખો જાહેર કરવામાં નથી આવી રહી.
I think Chidambaram & the entire Congress are scared of the upcoming #Gujarat Elections: Vijay Rupani, Gujarat CM on P Chidambaram's tweet pic.twitter.com/oreI5WmPf7
— ANI (@ANI) October 20, 2017