મોદીને વાનર કહેવા અંગે મોઢવાડિયાને ચૂંટણી પંચની નોટિસ

ચૂંટણી પંચે અર્જુન મોઢવાડિયાને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે અપશબ્દો પ્રયોજવા બદલ નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અર્જુન મોઢવાડિયાએ એક જાહેર સભામાં મોદીની સરખામણી વાનર સાથે કરી હતી.
ચૂંટણી પંચને ગુજરાત ભાજપના મહાસચિવ બાલકૃષ્ણ શુક્લા તરફથી ફરિયાદ મળી હતી. આ ઉપરાંત ઇસીને રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીનો રિપોર્ટ પણ મળ્યો હતો કે અપશબ્દો પ્રયોજીને ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં ઉલ્લેખ કર્યા અનુસાર વડોદરામાં 2 નવેમ્બર, 2012ના રોજ યોજાયેલી એક જાહેર સભામાં નરેન્દ્ર મોદીના વ્યક્તિગત જીવન અને ચરિત્ર અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. અર્જુન મોઢવાડિયાએ નરેન્દ્ર મોદીની સરખામણી ઝાડ પર ચઢીને સિંહને લલકારી રહેલા વાનર સાથે કરી હતી.
મોઢવાડિયાએ કહ્યું હતું કે "મુખ્યમંત્રીને વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનીયા ગાંધી સિવાય કોઈ વાત સુઝતી નથી. આ રાજ્યની ચૂંટણી છે છતાં ગમે ત્યારે કહે છે કે, વડાપ્રધાનમાં ત્રેવડ હોય તો મારી સામે ચૂંટણી લડીને જીતી બતાવે ! અરે ભાઈ, વડાપ્રધાન તમારી સામે શું કામ ચૂંટણી લડવા આવે? જંગલનો રાજા ઝાડ પર બેસેલા વાંદરાને મારવા ઉપર ન ચડે તેને ખબર હોય કે ગમે ત્યારે વાંદરાને નીચે ઉતરવું જ પડશે. હવે આપણે માત્ર નીચે ઉતારવાનું કામ કરવાનું છે."












Click it and Unblock the Notifications
