ગુજરાતમાં ખેડૂતો ઔષધિય ખેતી વિશે માહિતગાર હોવા જોઇએ
પરિસંવાદમાં કૃષિ યુનિ.ના કુલપતિ ડો.એ.એમ.શેખે જણાવ્યું હતું કે ખેડૂત જે ઔષધિય વનસ્પતિ ઉત્પાદન કરે છે તેને પોક્ષણક્ષમ ભાવો મળતા નથી તથા ફાર્મસી કંપનીઓ અને ખરીદદારને ગુણવતાસભર માલ મળતો નથી. ગુણવતાસભર ઉત્પાદન કરવું હોય અને તેનો આર્થિક રીતે ખેડૂતને ઉપજ આવે તેવી વ્યવસ્થા ઉભી થાય તો ઉત્પાદક-વેપારી વર્ગ-વપરાશકાર આ ત્રણેય એજન્સીઓને ભેગા કરીને વિસ્તૃત જાણકારી આપી શકાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે વાતાવરણમાં ફેરફારને કારણે ખેતીથી ખેડૂતો દુર થવા લાગ્યા છે ત્યારે હાલમાં જે પાક થાય છે ને ઉત્પાદન થાય છે તેથી નવા રવિ પાકોનો ઉમેરો કરવો પડશે. તો જ ખેડૂતોની આવકમાં વધાર થઇ શકે જેથી ખેતી પડી ન ભાગે અને સતત આવક મળતી રહે. ખેડૂતો ઔષધિય પાકો વિશે જાણતા નથી તેની ઓળખ અને ઉપયોગ કરતા થાય તે ખુબજ જરૂરી છે. જેથી આ બાબતનો ખાસ પ્રચાર પ્રસાર થાયતે માટેના પ્રયત્ન કરવામાં આવે તેમ વધુમાં જણાવ્યું હતુ. આણંદ કૃષિ યુનિ. દ્વારા થતા ઔષધિય પાકોમાં સંશોધન થકી ખેડૂતો સુધી ઔષધિય વનસ્પતિ વિશે જાગૃતિ આવે ખેડૂતો ઔષધિય વનસ્પતિનો પાક લેવા પ્રેરાય અને ખેડૂતોને આ બાબતે કોઇ પ્રશ્ન હોય તો સતત માર્ગદર્શન મળતુ રહે તે ખુબજ જરૂરી હોઇ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં જોઇએ તો મોટાભાગની અંદાજીત 1200 જેટલી નાની મોટી દવા બનાવવાની કંપનીઓ છે. જે મોટે ભાગે ગિર, રાજપીપળાના ડુંગરા, ડાંગના જંગલ, અરવલ્લીની ટેકરીઓ, કચ્છના રણ અને પડતર કોતરાળ જમીનમાં થતી ઔષધિય વનસ્પતિઓનો ઉપયોગ કરે છે અને જંગલો ખતમ થવા લાગ્યા છે. જો આ સધળું નષ્ટ થાય તો શું ? આમ ન થાય તે માટે ખેડૂતોને નવી દિશા સૂચવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જશવંતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં અંગ્રેજો આવ્યા ત્યારે એલોપોથી દવા લાવ્યા હતા. ત્યારથી અત્યારે પણ લોકો એલોપોથીની દવાઓનો વધારે ઉપયોગ કરે છે. જયારે સૈકાઓથી ચાલી આવતી આર્યુવેદિક, હોમીયોપેથીક ઔષધિય દવાનો ઉપયોગ કરવાનું ભુલી ગયા છે. યુનિવર્સિટી દ્વારા ઔષધિય વનસ્પતિનો નવા સંશોધનો કરે છે. ખેડૂતોએ તેની જાણકારી મેળવવી જોઇએ અને તેનું વ્યવસ્થિત માર્કેટીંગ કરી લોકોને આર્યુવેદિક પ્રત્યે જાણકારી આપવી જોઇએ. દેશમાં ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા થતાં ઔષધિય દવાઓના પ્રચાર પ્રસાર થાય છે. તેનો વધુ પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવો જોઇએ જેથી લોકોને સારા પ્રમાણમાં ઔષધિય દવાઓનો ઉપયોગ કરી શરદી, સ્વાઇનફલુ, મેલેરીયા, ટાઇફોઇડ, સીંધીવા અને અનેક અસાધ્ય રોગોને દુર કરી શકાય.
આ પરિસંવાદમાં ગુજરાત આયુર્વેદ મેન્યુફેકચર્સ એસોસીએશનના પ્રમુખ પ્રબોધભાઇ શાહે જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી આપણે વિવિધ વનસ્પતિઓનો ઔષધમાંઉપયોગ કરતા આવ્યા છે. જેનો ઉલ્લેખ પુરાણો-વેદોમાં થયેલ છે. પૃથ્વી ઉપર ઉગતા દરેક છોડ આપણા માટે કંઇક અને કંઇક રીતે ઉપયોગી છે. આપણે જે ઉપયોગ કરીએ છીએ તેમાં મોટાભાગે ખોરાક, ધાન, પશુ આહાર કે પછી ઔષધ અથવા દવાના રૂપે કરીએ છીએ. આહારમાં વપરાતા હોય તેવા વનસ્પતિ જન્ય પદાર્થો મુખ્યત્વે કાર્બોહાઇડેટસ, સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી કે તેલ છે. જે વનસ્પતિમાં થતી જીવ રસાયણ પ્રક્રિયાઓ અને દેહધાર્મિક પ્રક્રિયાઓ જેવી કે પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, પ્રોટીન સીન્થેસી, ફેટ સીન્થેસીસ પ્રક્રિયાઓના ભાગરૂપે મુખ્ય પ્રોડકટ આપણને મળે છે. આ ઉપરાંત વનસ્પતિજન્ય દેહધાર્મિક પ્રક્રિયાઓના દ્રિતીય પ્રોડકટ (સેકન્ડરી મેટાબોલાઇટ) ના ભાગરૂપે મોટે ભાગે ઔષધિય દ્રવ્ય મળે છે. જે આલ્કોઇડસ, કેરોટીનોઇડસ, ટેનિન, કેરીન, ટ્રીનોલના ભાગ રૂપે હોય છે. જેનો વિવિધ દવાઓ અને તેના મિશ્રણ બનાવવામાં ઉપયોગ થતો હોય છે. આજે આપણે આયુર્વેદિક, હોમીયોપેથીક કે પછી એલોપેથી જેવી મોટાભાગની દવાઓ બનાવવા માટે ઔષધિય વનસ્પતિઓનો ઉપયોગ અંદાજીત 80 ટકા થાય છે જે મોટાભાગનો જથ્થો જંગલોમાંથી પ્રાપ્ત થતો હોય છે.