ગુજરાત બજેટ સત્ર બન્યું નલિયાકાંડનું વિરોધ સત્ર
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રથમ દિવસ હોબાળો ભર્યો રહ્યો, સત્રની શરૂઆતમાં વિપક્ષ દ્વારા ગૃહમાં નલિયાકાંડ મામલે હોબાળો કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભા ના બજેટ સત્ર નો પ્રથમ દિવસ હોબાળો ભર્યો રહ્યો, સત્રની શરૂઆતમાં વિપક્ષ દ્વારા ગૃહમાં નલિયાકાંડ મામલે હોબાળો કરવામાં આવ્યો હતો. આજે જયારે રાજ્યપાલ ઓ.પી.કોહલી પ્રવચન આપી રહ્યા હતા, તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ(BJP) પક્ષના નામને લઇ 'બળાત્કારી જનતા પાર્ટી, ભાજપથી બેટી બચાવો' જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નલિયા દુષ્કર્મકાંડમાં પીડિતાને બને એટલો જલ્દી અને તટસ્થ ન્યાય મળી રહે એ હેતુથી કોંગ્રેસ 20 ફેબ્રુઆરી સોમવારના રોજ બેટી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની માંગ હતી કે આ મામલાને તપાસ હાઇ કોર્ટના સીટિંગ જજ દ્વારા કરવામાં આવે. માંગણી પૂરી ન થતાં વિધાનસભાનો ઘેરાવો કરવા માટે કોંગ્રેસ કાર્યર્તાઓ મક્કમ હતા.

કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજ્યપાલના પ્રવાચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં ધસી આવી કાગળો ફેંક્યા હતા અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના ઉગ્ર વિરોધને કારણે રાજ્યપાલે પ્રવચન ટૂંકાવ્યું હતું. રાજ્યપાલે નલિયાકાંડ મામલે સરકારને તપાસ કરી કડક પગલાં લેવા જણાવ્યું છે. રાજ્યપાલે આ અંગે વિપક્ષને જાણ કરતો પત્ર વિધાનસભામાં બતાવતા કોંગ્રેસના સભ્યોએ ફરી હોબાળો મચાવ્યો હતો. જેને લીધે વિધાનસભા 15 મિનિટ માટે મુલતવી રખાઇ હતી. કેટલાક ધારાસભ્યોને ટીંગાટોળી કરી ગૃહની બહાર લઇ જવામાં આવ્યા હતા.

કોંગ્રેસના વિરોધની રીત શરમજનક
ત્યારબાદ ગૃહમાં ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે, કોંગ્રસની વિરોધની રીત શરમજનક છે. તેમણે વિપક્ષે કરેલા વિરોધ મામલે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યું સાથે કહ્યું કે, આવું ભવિષ્યમાં ના થાય તે માટે અભ્યાસ કરીશું. અધ્યક્ષે સંસદીય બાબતોને પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના નિવેદનને માન્ય રાખી કહ્યું કે, આ સંસદીય પ્રણાલિકાનું અપમાન છે. મારા 22 વર્ષના વિધાનસભા ગૃહના અનુભવમાં ક્યારેય આવી રીતે કાળા કપડાં પહેરી વિરોધ કરતા વિપક્ષને મેં જોયા નથી.

શક્તિસિંહ ગોહિલની વિવાદાસ્પદ ટિપ્પણી
અગાઉ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે નલિયાકાંડમાં વિધાનસભાના મુખ્ય સ્પીકરની સંડોવણી હોવાનો આરોપ કર્યો હતો. તેમના આ આરોપ બદલ આજે વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે શક્તિસિંહ ગોહિલને નોટિસ પાઠવવાની માંગ કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, શક્તિસિંહે તેમના નિવેદન અંગે માફી માગવી જોઇએ. જ્યારે વિધાનસભાના સ્પીકરે તેમના ટીવી ઇન્ટરવ્યૂની ચકાસણી કર્યા બાદ નિર્ણય આપવા અંગે જણાવ્યું હતું.

આવતી કાલે રજૂ થશે બજેટ
વિધાનસભા ગૃહનું બજેટ સત્ર 20 ફેબ્રુઆરીથી 31મી માર્ચ સુધી ચાલશે. આ બજેટ સત્રમાં કુલ 26 દિવસ દરમિયાન 28 બેઠકો મળશે. 21મા નાણામંત્રી નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2017-18નું બજેટ રજૂ કરશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત
કોંગ્રેસની સભાને કારણે ગાંધીનગર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. વિધાનસભાના ઘેરાવને પગલે 700થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સભાસ્થળે તેમજ વિધાનસભા ખાતે એક આઇજી, 4 એસપી, 10 ડીવાયએસપી, 25 પીઆઇ, 500 કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ, 200 મહિલા પોલીસ કર્મી, ત્રણ વોટર કેનન તેમજ છ એસઆરપીની ટુકડીઓ ગોઠવવામાં આવી હતી.













Click it and Unblock the Notifications
