ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજનાના અમલીકરણની તૈયારીઓ શરૂ
ગાંધીનગર, 19 સપ્ટેમ્બર : ભારત સરકારે ગરીબોને નજીવા દરે અનાજ આપવા માટે જાહેર કરેલી અન્ન સુરક્ષા યોજનાનો દરેક રાજયએ અમલ કરવો ફરજીયાત છે. ગુજરાતમાં પણ આ યોજનાના અમલની તૈયારી શરૂ થઇ છે. આ માટે બુધવારે ગાંધીનગરમાં પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજય મંત્રી ગોવિંદભાઇ પટેલની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં યોજનાના અમલની તૈયારી અને કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરવાના સંભવિત વાંધા સુચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
હવે પછી 4 ઓકટોબરે દિલ્હીમાં કેન્દ્રીય અન્ન મંત્રીએ બોલાવેલ બેઠકમાં ગુજરાત સરકાર વતી પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પુરવઠા વિભાગના અગ્રસચિવ ગુપ્તા હાજરી આપી ગુજરાત સરકારના મુદાઓ રજુ કરશે. કેન્દ્ર સરકારે લાભાર્થીઓની સંખ્યા નકકી કરી દીધી છે. પરંતુ લાભાર્થી નકકી કરવાનો માપદંડ બતાવ્યો ન હોવાથી રાજય સરકાર માટે મુંઝવણ છે. આ મુંઝવણનો દિલ્હીની બેઠકમાં પડઘો પડશે.
કેન્દ્ર સરકારે 4 જુલાઇ 2012ના રોજ અન્ન સુરક્ષા યોજના માટે વટહુકમ બહાર પાડ્યો હતો.. લોકસભામાં પણ આ ખરડો પસાર થઇ ગયો છે. કાયદાનુ સ્વરૂપ મળી ગયુ હોવાથી દરેક રાજયમાં જુલાઇ 2014 સુધીમાં અમલ કરવો ફરજીયાત છે.
ગુજરાતમાં કુલ 6 કરોડની વસતી પૈકી 3 કરોડ 83 લાખ લોકોને લાભ મળવા પાત્ર છે. જેમાં ગ્રામીય ક્ષેત્રના 2.58 કરોડ લોકો અને શહેરી ક્ષેત્રના 1.24 કરોડ ગરીબોનો સમાવેશ થાય છે. હાલની અંત્યોદય યોજના અને બીપીએલ કાર્ડ ધારકોનો તેમાં સમાવેશ થઇ જાય છે. લાભાર્થીઓની સંખ્યા નકકી છે પરંતુ લાભાર્થી બનાવવા માટે કયો માપદંડ અપનાવવો ? તેની સ્પષ્ટતા રાજય સરકારે કેન્દ્ર પાસે માગી છે. જે માપદંડ અપનાવવામાં આવે તે મુજબ સંખ્યા 3.83 કરોડ લોકોથી વધી જાય તો વધારાનું ભારણ રાજય સરકારે ઉઠાવવાનું કે કેન્દ્ર સરકારે ? તેની સ્પષ્ટતા નથી. લોકસભાની ચુંટણીમાં આ યોજના પ્રચારનો અગ્રીમ મુદો બની શકે તેમ છે.
ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજનાના અમલ માટે રાજયકક્ષાનું સ્ટેટ ફુડ કમિશન બનાવવામાં આવશે. જીલ્લા કક્ષાએ તેની દેખરેખ અને અમલીકરણ માટે ખાસ અધિકારીઓ નિયુકત કરવામાં આવશે. રાજય કક્ષાના આયોગમાં આઇએએસ અને જીએસ કેડરના વર્તમાન અથવા નિવૃત અધિકારીઓ તેમજ સમાજના પ્રતિષ્ઠીત અગ્રણીઓનો સમાવેશ થશે.
લાભાર્થી ગરીબોને અનાજ ઉપરાંત 14 વર્ષ સુધીના બાળકો માટે તેમજ સગર્ભા અને પ્રસુતા મહિલાઓ માટે વધારાના પોષણ યુકત આહારની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત સરકારે અન્ન સુરક્ષા યોજનાના અમલ તરફ કદમ માંડયા છે. અમલ કયારથી થશે ? તેનો ચોકકસ સમય હજુ નકકી નથી.