વિપુલ વિજોય સમેત ગુજરાત પોલીસમાં 4 નવા ડીજીપી ઉમેરાયા
ગુજરાત પોલીસમાં નવા ચાર ડીજીપીનો ઉમેરો રાજ્ય સરકારે કર્યો છે. જાણો કોણ છે આ ચાર નવો ડીજીપી. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત હોમ ડીપાર્ટમેન્ટ દ્વારા સોમવારે સાંજે ચાર આઇપીએસ અધિકારીઓને એડીશન ડ઼ાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) થી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)નું પ્રમોશન આપવામાં આવ્યા હતા. જેમાં 1983ની બેચના વિવાદાસ્પદ આઇપીએસ અધિકારી વિપુલ વિજોયને એડીજીપીથી ડીજીપીનુ પ્રમોશન આપવામાં આવ્યું છે. વિપુલ વિજોય હાલ ગુજરાત સ્ટેટ ટ્રાફિક બ્રાંચના એડીજીપીના પદ પર હતા. ઉલ્લેખનીય છે કે વિપુલ વિજોય જ્યારે કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટમાં એડીજીપી હતા ત્યારે તેમના સ્ટાફને કરાઇ એકેડમી ખાતે આવેલા નિવાસ સ્થાને બોલાવીને કોઇ કારણસર બંધક બનાવી દીધા હતા. બનાવ બાદ તેમને તાત્કાલિક અસરથી જીએસઆરટીસી(ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)માં બદલી કરવામાં આવી હતી અને બાદમાં સ્ટેટ ટ્રાફિકમાં બદલી કરવામાં આવી હતી. તેમજ તેમના પ્રમોશનને ગ્રહણ લાગી ગયું હતુ.
જો કે છેવટે તેમને ડીજીપી તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે એટીએસ(એન્ટી ટેરેરીઝમ સ્કોવ્ડ)ના એડીજીપી અને 1983ની બેચના આઇપીએસ એ કે સુરેલિયા ને પણ ડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે. હાલ ડીજીપીની પોસ્ટ એટીએસમાં જ અપગ્રેડ કરવામાં આવી છે. આમ , તમામ પ્રમોશનમાં એડીજીપીની પોસ્ટને ડીજીપીની પોસ્ટ તરીકે અપગ્રેડ઼ કરવામાં આવી છે અને તમામને તેમને તેમના સ્થાને જ કાયમી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના એડમીન ડીપાર્ટમેન્ટ વડા અને 1985ની બેચનાઆઇપીએસ ઓફિસર એડીજીપી મોહન ઝાને પણ ડીજીપી બનાવવામાં આવ્યા છે. તેમજ જેલોના વડા અને 1985ની બેચના આઇપીએસ ઓફીસર ટીએસ બિસ્ટને પણ ડીજીપી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.
આમ, હવે ગુજરાત પોલીસમાં કુલ નવ ડીજીપી થયા છે. જેમાં રાજ્યના ઇન ચાર્જ પોલીસ વડા પ્રમોદકુમાર, ઇન્ટેલીજન્સના વડા શીવાનંદ ઝા, અમદાવાદના પોલીસ કમિશનર એ કે સીંગ, લો એન્ડ ઓર્ડરના વડા તીર્થરાજ અને સીઆઇડી ક્રાઇમના વડા આશીષ ભાટિયાનો સમાવેશ થાય છે. હાલના ગુજરાતના ઇન ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર આગામી 28મી ફેબ્રુઆરીએ નિવૃત થઇ રહ્યા છે. ત્યારે તેમના સ્થાને શીવાનંદ ઝાનુ નામ મોખરે છે અને ઘણા લાંબા સમય બાદ રાજ્યને કાયમી ડીજીપી મળવાની શક્યતા પણ સુત્રોએ વ્યક્ત કરી છે. આ ઉપરાંત, આગામી બે મહિનામાં પોલીસ વિભાગમાં બદલીનો દોર આવી શકે તેમ છે. તેમ જાણવા મળ્યું છે.