For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકાર કૃષિ-પશુપાલન અને ડેરી ઉદ્યોગનું માળખું છિન્નભિન્ન કરી રહી છેઃ નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 જુલાઇ: નરેન્દ્ર મોદીએ ગુજરાત સહકારી મહાસંમેલનનું ઉદ્દઘાટન કરતાં ગુજરાતના સહકારી ક્ષેત્રના શુધ્ધિકરણની સતત પ્રક્રિયા વધુ વેગવાન બનાવવાનું પ્રેરક આહ્‌વાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતની સહકારી પ્રવૃત્તિનો ઇતિહાસ ચાર-પાંચ પેઢીઓની નિષ્ઠાની નીંવ ઉપર ઉભો છે અને વર્તમાન પેઢીએ પણ સહકારીતાની ભાવનાના શુધ્ધિકરણનું સંવર્ધન કરવા જાગૃતિપૂર્વક પ્રયાસો કર્યા છે તેમ તેમ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપક્રમે આજે અડાલજમાં યોજાયેલા સહકારી મહાસંમેલનમાં સહકારી ક્ષેત્રના ૩૦૦૦ જેટલા પદાધિકારીઓ ઉપરાંત અન્ય રાજ્યોની સહકારિતા પ્રવૃત્તિની વરિષ્ઠ સંસ્થાઓના અગ્રણી પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. રાજ્યમાં દર ત્રણ વર્ષે ગુજરાત કોઓપરેટીવ કોંગ્રેસ યોજાય છે. આ વર્ષે અડાલજમાં યોજાયેલા આ સહકારીતા મહાસંમેલનમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ અને વરિષ્ઠ સહકારી આગેવાનોએ ભાગ લીધો હતો.

ગુજરાતની ભૂમિ એ સહકારીતાની, સહકારી ક્ષેત્રના મૂલ્યોના ઉમદા માપદંડો ઉભા કરીને વિશ્વમાં સહકારીતાની ભાવનાની આગવી ઓળખ ઉભી કરી છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકાર અને સહકારીતાની વચ્ચે ભાવનાત્મક નાતો સ્થાપિત થયો છે, તેની વિગતો આપી હતી.

સહકારી ક્ષેત્રે જ્યારે માધુપુરા સહકારી બેન્કના આર્થિક ભૂકંપથી સહકારી બેન્કીંગ વ્યવસ્થા પત્તાના મહેલની માફક તૂટી જવાની અણી ઉપર હતી ત્યારે રાજ્યની આ વર્તમાન સરકારે રાજકીય ઇચ્છાશકિતથી હિંમતભેર સહકારી ક્ષેત્રને માટે સુધારાની પહેલ કરી તેને તત્કાલિન મૂર્ધન્ય સહકારી આગેવાનોએ રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહીને સહકારી ક્ષેત્રને લૂણો ના લાગે તે માટે આ સ્વીકારને સમર્થન આપેલું તેની રૂપરેખા નરેન્દ્ર મોદીએ આપી હતી.

સામાન્ય માનવીએ આંખ મીંચીને સહકારી ક્ષેત્ર ઉપર ભરોસો મૂકયો છે, ત્યારે સહકારિતાની મૂલ્યનિષ્ઠા અને વિશ્વસનિયતા જાળવી રાખવાની આપણી સહકારી ક્ષેત્રની જવાબદારી છે. સહકારી ક્ષેત્રની વ્યાપકતા અને વિકાસને કારણે કયાંક પણ ત્રુટી કે ખામી હોય તો લૂણો લાગ્યાની ખબર કદાચ મોડી પડે પણ આપણી પ્રતિબદ્ધતા સહકારી ક્ષેત્રના શુધ્ધિકરણ માટેની સતત પ્રક્રિયા વધુ તેજીલી અને ફળદાયી બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ ગુજરાત સરકારનો સહકારી પ્રવૃત્તિ અને ક્ષેત્રમાં કોઇ હસ્તક્ષેપ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી અને સહકારી ક્ષેત્રની પવિત્ર ભાવનાને અકબંધ રાખવા માટે સ્વયમ્‌ શુધ્ધિકરણ કરે તેમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. સહકારી ક્ષેત્રને નવા આયામો અને નવા અવસરો માટે અનેક પ્રકારનો અવકાશ છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતનું સહકારી આંદોલન સમાજ જીવનમાં ગૂણાત્મક પરિવર્તન લાવવા સક્ષમ છે તેનો સાક્ષાત્કાર કરવા માટે માત્ર આર્થિક વ્યવસ્થા અને નફા પૂરતા સીમિત ના રહે પણ સમાજની શકિત બનીને ઉભરે એ માટે સહકારીતાનું આંદોલન પોતાનું સામર્થ્ય બતાવે એવો અનુરોધ નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

આ સંદર્ભમાં નરેન્દ્ર મોદીએ રમત-ગમત અને જળસંચયના ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા સહકારી આંદોલન મિશન મોડ ઉપર નેતૃત્વ લે એવું પ્રેરક સૂચન પણ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ રાજ્યના સહકારી દૂધ ઉદ્યોગની આગવી પ્રતિષ્ઠા છે છતાં, ગુજરાતનું સહકારી ડેરીનું દૂધ આખા દેશમાં પહોંચાડવા રેલ્વે ટેન્કર આપવા કેન્દ્રની સરકાર ધ્યાન આપતી નથી. ગુજરાત સરકારે તો સહકારી ક્ષેત્ર દ્વારા દૂધના રેલ્વે ટેન્કરના નિર્માણ કરીને માત્ર રેલ્વે લાઇનનો ઉપયોગ કરવાની માંગણી કરી છે તેને સ્વીકારવા પણ કેન્દ્ર સરકાર મૌન છે એવો સ્પષ્ટ આક્રોશ તેમણે વ્યકત કર્યો હતો.

narendra-modi

એ જ રીતે ગુજરાતના ખેડૂતોને કૃષિલક્ષી ધિરાણ માટે વૈદ્યનાથન સમિતિની ભલામણો અનુસાર કેન્દ્ર સરકાર પાસેથી રૂા. ર૬૧ કરોડ હકકના લેવાના બાકી છે પણ ભારત સરકાર આ ગુજરાતના હકકના નાણાં ખેડૂતોને આપવા માટે પણ મૌન ધારણ કરીને બેઠી છે. ગયા વર્ષે વરસાદના વિલંબ અને ચોમાસાની નિષ્ફળતાને કારણે જે ખેડૂતોએ રાષ્ટ્રીય બેન્કો પાસેથી કૃષિ ધિરાણ લીધું તેમના વ્યાજના દર ૭ ટકાથી ઘટાડીને ૪ ટકા કરવા ભારત સરકાર તૈયાર નથી. ગુજરાત સરકારે તો આવા સંજોગોમાં સહકારી ક્ષેત્રમાંથી બેન્ક ધિરાણ લીધું હોય તેના ચાર ટકાના વ્યાજના દરની માંગણી સ્વીકારી છે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ભારત સરકાર ફેડરલ સ્ટ્રકચર-સંધીય ઢાંચાને તહસનહસ કરવા પૂરી તાકાતથી કામે લાગી છે તેની સ્પષ્ટ ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે નાબાર્ડ સંસ્થા દ્વારા પ્રાથમિક સહકારી મંડળીઓને જિલ્લા સહકારી બેન્કોના અંકુશમાં મૂકવાનો કેન્દ્રીય નિર્ણયને સહકારીતાના રાજ્યના વિષય ઉપર તરાપ મારીને રાજ્યોને વિશ્વાસમાં લીધા વગર કે રાજ્યો સાથે પરામર્શ કર્યા વગર લેવાયો છે. આ પ્રકારના નિર્ણયો લઇને ભારતના લોકતાંત્રિક સંધીય ઢાંચાને છિન્ન-ભિન્ન કરી રહી છે તેનો સહકારી ક્ષેત્રએ પૂરા પ્રભાવથી વિરોધ કરવો જોઇએ.

સહકારી આંદોલન સમાજના સુખ-દુઃખની સંવેદના સાથે જોડાયેલું છે. સહકારીતાની ભાવનાને વરેલા ગુજરાતમાં સહકારીતાની ભાવનાની વિશ્વસનિયતાને કોઇ ઉની આંચ આવે નહીં તે માટે સંપૂર્ણ નિષ્ઠા અને દાયિત્વ જાળવવાનો આગ્રહપૂર્વક અનુરોધ કરતાં નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રને મતદાનની પ્રવૃત્તિ માટે ગુજરાત સરકારે મોબાઇલ વોટીંગની ટેકનોલોજી ફુલપ્રુફ સીસ્ટમ વિકસાવેલી છે તે આપવાની તત્પરતા નરેન્દ્ર મોદીએ દર્શાવી હતી.

ભારત સરકાર યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા જઇ રહી છે ત્યારે તેનાથી ઉભા થનારા ગંભીર સંકટનો નિર્દેશ કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે યુરોપના દેશોના દૂધ અને તેની બનાવટોના ઉત્પાદનો ભારતે આયાત કરીને ખરીદવા પડશે અને તેનાથી ગુજરાત સહિત દેશના સહકારી ડેરી ઉદ્યોગના દૂધના મૂલ્યવર્ધિત ઉત્પાદનો ઉપર ગંભીરત્તમ આર્થિક ફટકો પડશે.

યુરોપના વિદેશી દૂધ-ઉત્પાદક ચીજવસ્તુઓનો હિન્દુસ્તાનમાં ભરાવો થશે અને ગુજરાત સહિત ભારતના પશુપાલકોની આર્થિક સ્થિતિ અને સહકારી દુધ ડેરી ઉદ્યોગ આર્થિક ક્ષેત્રે પાયમાલ થશે. સરકાર દેશની જનતા, પશુપાલકો, સહકારી ડેરી ઉદ્યોગ, સહકારી ક્ષેત્રની સાથે ચર્ચા કરવાને બદલે તેને અંધારામાં રાખીને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા ભારતની કૃષિ આધારિત પશુપાલન સંસ્કૃતિના અર્થતંત્રનું નિકંદન કાઢવા કેન્દ્રની વર્તમાન સરકાર તત્પર બની છે તેનો આક્રોશ નરેન્દ્ર મોદીએ વ્યકત કર્યો હતો અને ભારત સરકાર શ્વેતક્રાંતિના સહકારી ડેરી ઉદ્યોગને ગળે ટૂંપો લગાવી માંસ-મટનની નિકાસ અને નવા કતલખાના માટે પ્રોત્સાહનો સબસીડી આપી પિન્ક રિવોલ્યુશનની દિશામાં આગળ વધી ભારતની જીવદયાની સંસ્કૃતિનો વિનાશ કરવા જઇ રહી છે ત્યારે સહકારી ક્ષેત્ર તેની સામે પૂરી તાકાતથી અવાજ ઉઠાવે તેવું આહ્‌વાન પણ નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

ગુજરાતમાં આગામી તા. ૧૭-૧૮ ઓગસ્ટે ગ્રામવિકાસ ઉપર રાષ્ટ્રીય સેમિનાર અને સપ્ટેમ્બરમાં આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસનો ઇન્ટરનેશનલ એગ્રીટેક ફેર યોજવાના છે તેમાં નિર્ણાયક સહભાગી થવા નરેન્દ્ર મોદીએ અનુરોધ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ લોહપુરૂષ સરદાર પટેલ કિસાનના પુત્ર હતા અને ભારતની એકતાના શિલ્પી હતા તેમની સ્મૃતિને વિશ્વકક્ષાએ ગણમાન્ય સ્મારક બનાવવા નર્મદા ડેમ નજીક સ્મારકના નિર્માણ માટે હિન્દુસ્તાનના સાત લાખ ગામોમાંથી કિસાનો ખેતી માટે જે લોખંડના ઓજારો વાપરે છે તેમાંથી દરેક ગામમાંથી એક જૂનું ખેતીનું નાનું ઓજાર એકત્ર કરવાનું અભિયાન તા.૩૧મી ઓકટોબરથી હાથ ધરાશે તેમાં હિન્દુસ્તાનભરમાં પથરાયેલી સહકારી સંસ્થાઓનું યોગદાન મળે તેવી પ્રેરક અપીલ કરી છે.

આ મહાસંમેલનમાં મહારાષ્ટ્ર ખાંડ સહકારી વિકાસ પ્રવૃત્તિના પ્રણેતા શીવાજીરાવ પાટીલ, ગુજરાત સહકારી સંઘ અધ્યક્ષ ઘનશ્યામભાઇ અમીન અને ભાદરણ સેવા સહકારી મંડળીના પ્રમુખ નૃપેશ પટેલનું બહુમાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં મંત્રીઓ ભૂપેન્દ્રસિંહજી ચૂડાસમા, બાબુભાઇ બોખિરીયા, ગુજરાત કો-ઓપરેટીવ કન્ઝયુમર્સ ફેડરેશનના અધ્યક્ષ નરહરી અમીન, ગુજરાત મિલ્ક કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન અધ્યક્ષ વિપુલ ચૌધરી સહિત વરિષ્ઠ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઇ અમીને સ્વાગત પ્રવચનમાં સહકારીતાની પ્રવૃત્તિની રાષ્ટ્રીય વિકાસમાં નિર્ણાયક ભૂમિકા અને વર્તમાન સહકારીતાના વિકાસ માટે સુધારાની ભૂમિકા આપી હતી.

English summary
The UPA Government is destroying the infrastructure of Agriculture, Animal Husbandry & Dairy Co-operatives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X