અડવાણી સાથે નથી ગાંધીનું નગર : અમદાવાદનો જ સહારો!
ગાંધીનગર, 21 માર્ચ : ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આખરે ગાંધીનગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે રાજી થઈ ગયા છે. તેઓ છઠી વખત ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે અને અત્યાર સુધી તેમને ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નથી. ગાંધીનગર લોકસભા મતવિસ્તારે તેમને સતત વિજય જ અપાવ્યો છે અને કદાચ આ વખતે પણ તેઓ જીતી જ જશે.
લાલકૃષ્ણ અડવાણી લોકસભા ચૂંટણી 2009માં ગાંધીનગર બેઠક ઉપરથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતાં, પરંતુ આ વખતે પરિસ્થિતિઓ ઘણી બદલાઈ ગઈ છે. દર વખતે ગાંધીનગર બેઠક ઉપરથી અડવાણીનું નામ નિર્વિવાદે નક્કી રહેતુ હતું, પરંતુ આ વખતે કહેવાય છે કે તેમને પોતાની બેઠક અંગે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. પહેલા તો અડવાણીએ ગાંધીનગરથી જ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી અને પછી તેમને કદાચ લાગ્યું કે નરેન્દ્ર મોદી વિરોધીઓ તેમને અહીંથી હરાવી દેશે, એટલે તેઓ ભોપાલ તરફ વળ્યાં. જોકે ભાજપ તરફથી તેમને ગાંધીનગર બેઠક જ આપવામાં આવી હતી અને અંતે સંઘની મધ્યસ્થિ કે દબાણ તથા પક્ષની પ્રતિષ્ઠાને ધ્યાને લઈ અડવાણી ગાંધીનગર મતવિસ્તારમાંથી સરવાળે છઠી વખત અને સતત પાંચમી વખત ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર થઈ ગયાં.
ખેર, ભાજપના આ વયોવૃદ્ધ નેતાને ચોક્કસ ગાંધીનગર મતવિસ્તારના લોકો વેલકમ જ કહેશે અને ગાંધીનગરના અત્યાર સુધીની ચૂંટણીના વલણો તથા ગુજરાતમાં ભાજપની મજબૂત સ્થિતિત જોતાં એમ પણ કહેવામાં સંકોચ નહીં થાય કે અડવાણી ગાંધીનગર બેઠક ઉપરથી ચોક્કસ જીતી જ હશે, પરંતુ અહીં અમે આપને એક અલગ જ બાબતથી વાકેફ કરવા જઈ રહ્યાં છીએ.
જેમ કે આપણે શીર્ષકમાં જોયું કે ગાંધીનું નગર અડવાણીને અવગણી રહ્યું છે. સતત ત્રણ ચૂંટણીઓથી ગાંધીનું નગર એટલે કે ગાંધીનગર અડવાણીનો સાથ નથી આપી રહ્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ ઉપર સ્થાપિત ગાંધીનું નગર એટલે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. અડવાણી અહીં 1991માં પહેલી વાર ચૂંટણી લડ્યા હતાં. 1996માં અટલ બિહારી બાજપાઈ ઉમેદવાર બન્યા હતા, પરંતુ તે પછી 1999, 2004 અને 2009માં સતત અડવાણી જ અહીંથી ઉમેદવાર રહ્યા અને જીત્યાં, પરંતુ તેમને છેલ્લી ત્રણેય ચૂંટણીઓમાં પ્રોપર ગાંધીનગરના લોકોએ ટેકો નથી આપ્યો. તેઓ ગાંધીનગર મતવિસ્તારમાં સમાવિષ્ટ અમદાવાદ શહેર-જિલ્લાના વિધાનસભા મતવિસ્તારોના બળે જીતી રહ્યાં છે, પરંતુ ગાંધીનગર શહેરમાં આવેલ વિધાનસભા મતવિસ્તારમાં તેમને કોંગ્રેસ કરતાં ઓછા મતો મળી રહ્યાં છે.
ચાલો તસવીરો સાથે જોઇએ ગાંધીનગર અને અડવાણીની જુગલબંધીનો ઇતિહાસ :
દિલ્હીથી ગાંધીનગર ‘પલાયન'
લાલકૃષ્ણ અડવાણી સામાન્ય રીતે દિલ્હીમાંથી ચૂંટણી લડતા હતાં, પરંતુ 1991માં જ્યારે કોંગ્રેસ પક્ષે દિલ્હીમાં અડવાણી સામે રાજેશ ખન્નાને મેદાનમાં ઉતાર્યાં, તો અડવાણીએ એક નહીં, પણ બે બેઠકો ઉપરથી ચૂંટણી લડવુ મુનાસિબ માન્યું અને એટલે જ તેમણે બીજી બેઠક તરીકે ગાંધીનગરની પસંદગી કરી. આ ચૂંટણીમાં અડવાણીએ કોંગ્રેસના જી. આઈ. પટેલને માત આપી વિજય મેળવ્યો.
‘ગાંધીનગર'નો સાથ
1991માં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જે 7 વિધાનસભા બેઠકો હતી, તેમાં ગાંધીનગર શહેરની એક ગાંધીનગર તથા અમદાવાદ શહેરની છ સાબરમતી, એલિસબ્રિજ, દરિયાપુર, શાહપુર અને અસારવા વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હતો. 1991ની ચૂંટણીમાં અડવાણીની જીતમાં ગાંધીનગરનો ફાળો રહ્યો હતો.
હવે બાજપાઈ બન્યા વિજેતાં
લોકસભા ચૂંટણી 1996માં અડવાણી ગાંધીનગરથી ચૂંટણી નહોતા લડ્યાં. આ વખતે ભાજપે અટલ બિહારી બાજપાઈને ઉમેદવાર બનાવ્યા હતાં અને તેઓ વિજેતા રહ્યા હતાં. તેમણે કોંગ્રેસના પોપટલાલ પટેલને હરાવ્યા હતાં અને બાજપાઈને પણ ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારના લોકોએ કોંગ્રેસ કરતા વધુ વોટ આપ્યા હતાં.
અડવાણીનો બીજો વિજય
લાલકૃષ્ણ અડવાણી લોકસભા ચૂંટણી 1998માં ફરીથી ગાંધીનગર તરફ વળ્યાં. આ ચૂંટણીમાં તેમને ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી બીજો વિજય મળ્યો. અડવાણીએ કોંગ્રેસના ઉમેદવાર પી. કે. દત્તાને પરાજિત કર્યો અને અહીં સુધી પણ પ્રોપર ગાંધીનગર એટલે કે ગાંધીનગર મતવિસ્તારના લોકોએ અડવાણીનો સાથ આપ્યો.
1999થી રિસાયું ગાંધીનગર
હવે વાત કરીએ શીર્ષકની. અમે કેમ કહી રહ્યાં છીએ કે ગાંધીનું નગર એટલે કે ગાંધીનગર અડવાણી સાથે નથી. આવું અમે નથી કહેતાં, પણ આંકડા કહે છે. આંકડા પર નજર નાંખીએ, તો સ્પષ્ટ થઈ જશે કે લોકસભા ચૂંટણી 1999માં અડવાણી ત્રીજી વાર ગાંધીનગરથી ઉમેદવાર બન્યાં અને તેમણે કોંગ્રેસના ટી. એન. શેષાનને પરાજય પણ આપ્યો, પરંતુ પ્રોપર ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારના મતોનું વર્ગીકરણ કરતાં જણાય છે કે અહીંના લોકો અડવાણીથી રિસાઈ ગયાં છે. ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી અડવાણીને 48 હજાર 228 મત મળ્યા હતાં, જ્યારે શેષાન 51 હજાર 213 મત પામી આગળ રહ્યા હતાં. આમ અડવાણીને શેષાન કરતાં 2985 મત ઓછા મળ્યા હતાં.
અને ખીણ થઈ વધુ પહોળી
ગાંધીનગરનું અડવાણી પ્રત્યે રિસામણું લોકસભા ચૂંટણી 2004માં ઓર વધી ગયું. આ ચૂંટણીમાં પણ અડવાણીએ ચોથી વાર વિજય મેળવ્યો. અડવાણીએ કોંગ્રેસના ગાભાજી ઠાકોરને પરાજય આપ્યો, પરંતુ આ વિજય પણ તેમને મળ્યો અમદાવાદ શહેરના વિધાનસભા બેઠકોના કારણે, જ્યારે ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાં અડવાણી પ્રત્યેની શૂગની ખીણ વધુ પહોળી થઈ ગઈ. આ ચૂંટણીમાં ગાંધીનગર મતવિસ્તારમાં અડવાણીને ઠાકોર કરતાં 8957 ઓછા મત મળ્યાં. અડવાણીને 54 હજાર 97, તો ઠાકોરને 63 હજાર 54 મત પ્રાપ્ત થયાં.
પુનર્સીમાંકને વધારી મુશ્કેલી
હવે વાત કરીએ ગત ચૂંટણી એટલે કે લોકસભા ચૂંટણી 2009ની. ગત ચૂંટણીમાં સમગ્ર દેશમાં પુનર્સીમાંકન લાગૂ થઈ ચુક્યુ હતું અને તે મુજબ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારો બદલાઈ ગયા હતાં. હવે જે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર બન્યુ હતું, તેમાં ગાંધીનગર શહેરની ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર જિલ્લાની કલોલ વિધાનસભા બેઠકોનો ઉમેરો થયો, જ્યારે અમદાવાદ જિલ્લાની સાણંદ તથા શહેરની ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકોનો સમાવેશ થાય છે.
રિસામણામાં કલોલનું બોનસ!
આ ચૂંટણીમાં પણ અડવાણીએ કોંગ્રેસના સુરેશકુમાર પટેલને પરાજય આપ્યો હતો, પરંતુ ગાંધીનગરનું રિસામણું શહેરમાંથી વધી જિલ્લા સુધી પહોંચી ગયું. કહેવાનો તાત્પર્ય એ છે કે આ ચૂંટણીમાં પણ પ્રોપર ગાંધીનગરની વસતી ધરાવતા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તાર તથા ગાંધીનગર જિલ્લાના કલોલ વિધાનસભા મતવિસ્તારમાં અડવાણીને કોંગ્રેસ કરતા ઓછા વોટ મળ્યાં. તેમાં ગાંધીનગર ઉત્તરમાં અડવાણીને 40854, તો પટેલને 49952 મત મળ્યાં, જ્યારે કલોલમાં અડવાણીને 40579, તો પટેલને 52031 મત મળ્યાં. સરવાળે અડવાણીને આ બંને વિસ્તારોમાં પટેલ કરતાં 20 હજાર 550 મત ઓછા હાસલ થયાં. આમ ગત ચૂંટણીમાં પણ અડવાણીનો વિજય અમદાવાદના સહારે જ થયો.