આગલા વર્ષે આવવાના આમંત્રણ સાથે ગુજરાતમાં ઠેર-ઠેર ગણેશ વિસર્જન
ગણેશ ચોથના દિવસે ગણપતિ બપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યા બાદ 10 દિવસ સુધી ભક્તો દ્વારા તેમની ભાવભેર પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શનિવારે 10 દિવસપૂર્ણ થતાં હોય ગણેશભક્તોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ક્યાંક ગજાનન ગણેશના નાદો તો ક્યાંક અબીલ ગુલાલની છોળો ઉડી રહી હતી. ભક્તો સંગીતના તાલે ગણેશ વિસર્જનમાં ઝુમતા નજરે ચઢી રહ્યાં હતા.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર જેવા મોટા શહેરો ઉપરાંત હવે નાના શહેરો અને ગામડાઓમાં પણ ગણેશ મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. જેના પગલે પોલીસ વધુ સતર્ક જણાઇ રહી હતી. નદી, તળાવો અને ડેમોમાં ભક્તો ઉડાંણવાળા પાણીમાં ના જાય તે અંગેની સુચનાઓ આપવામાં આવી રહી હતી.
અમદાવાદ જાણે કે ગણેશભક્તિમાં ઓતપ્રોત થઇ ગયું હોય તેમ શહેરમાં ઠેર-ઠેર ગણપતિ બાપા મોરયાના નાદો ગુંજી રહ્યાં છે. સાબરમતી પાસે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગણેશ વિસર્જનના પગલે શહેરમાં ટ્રાફિક સમસ્યા પણ ઉદ્દભવી છે.