મહિલાઓના અપમાન બદલ ગુજરાતની પ્રજાની માફી માંગે કોંગ્રેસ: ભાજપ
તેમણે જણાવ્યું છે કે ટોળા ભેગા કરવા ગીત-સંગીતના કાર્યક્રમ કરનારી કોંગ્રેસના આણંદ ખાતેના કાર્યક્રમમાં પોતાની કલા રજૂ કરી રહેલી મહિલા કલાકાર પર નોટો ઉડાવીને કાર્યકરોએ પોતાના કુકર્મ અને ઓળખને છતી કરી છે અને સમગ્ર રાષ્ટ્રની નારીશક્તિના રક્ષણની જવાબદારી જેમના શિરે છે તેવા ગિરીજા વ્યાસ મૂક પ્રેક્ષક બનીને આ તમાશો જોતા રહ્યા, જેને ગુજરાતની ગરિમા અને નારીશક્તિના સ્વમાનને ઠેસ પહોંચાડવાનું કાર્ય કર્યું છે તેને ભાજપા સખ્ત શભ્દોમાં વખોડી કાઢે છે.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં થયેલા વિકાસને કોંગ્રેસના આગેવાનો અસત્ય આંકડા રજૂ કરીને આંજવા મથી રહ્યા છે. પરંતુ, ગુજરાતની જનતા તેનાથી અંજાવાની નથી તે હકીકત પણ કોંગ્રેસ જાણી લે. ગુજરાતમાં કોંગ્રેસનું ૧૯૮૦ થી ૧૯૯૦ નું શાસન અશાંતિ અને અસ્થિરતાનું શાસન રહ્યું છે તેને ૧૬%, ૧૪% અને ૧૭% ના વિકાસદરના જુઠ્ઠાણા રજૂ કરી કેન્દ્રના કોંગ્રેસના આગેવાનો સત્ય કરી શકવાના નથી. કોંગ્રેસના નેતૃત્ત્વ અને સહકારમાં બનેલા શાસનોએ ગુજરાતને અશાંતિની આગમાં ધકેલવા સિવાય કોઇ મહત્વની નોંધપાત્ર સિદ્ધી પ્રાપ્ત કરી નહોતી તે ગુજરાતની જનતા જાણી ચૂકી છે.
તેઓએ અંતમાં જણાવ્યું છે કે, ભાજપાની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં કાર્યરત સરકારે "નારી ગૌરવ નીતિ" નો સમગ્ર દેશમાં પ્રથમવાર અમલ કર્યો છે. ૪૨ નારી અદાલતોની સ્થાપના, કન્યા કેળવણી નિધિમાંથી ૫૮ કરોડની દિકરીઓને સહાય, મિશન મંગલમ્ અંતર્ગત ૧૬૦૦ કરોડનો વહીવટ મહિલાઓના હાથમાં સોંપ્યો છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં ૫૦% મહિલાઓ માટે અનામતનો નિર્ણય જેવાં અનેક ક્રાંતિકારી પગલાં લીધા છે જેને ગિરીજા વ્યાસના જુઠ્ઠાણાઓ ગુજરાતની નારીશક્તિના મગજમાંથી ભૂંસી શકવાના નથી.
ગામે ગામ વિજળી પહોંચાડનારી ભાજપા સરકાર છે. ગામે ગામ પાકી સડક આપનારી ભાજપા સરકાર છે. કોંગ્રેસના શાસનમાં આ ક્ષેત્રે કંઇ થયું હતું ? તેનો અભ્યાસ ગિરીજા વ્યાસ સૌ પ્રથમ કરે અને ત્યારબાદ વિકાસદરની વાહિયાત વાતો રજૂ કરે તેમ જણાવી જયશ્રીબેને નારીશક્તિના આણંદની ધરતી પર કરાયેલા અપમાન બદલ ગિરીજા વ્યાસ માફી માંગે તેવી માફી માંગણી કરી છે.