વેદ અને વિજ્ઞાનના સમન્વયથી જ પૂર્ણતા પામી શકીશું : આચાર્ય દેવવ્રતજી
"નિર્વ્યસની, સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને સદાચારી યુવાનો આ દેશની સૌથી મોટી મૂડી છે" હોવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતુ. વઢિયામાં આચાર્ય દેવવ્રતે સાયન્સ કોલેજનો પ્રારભ કરાવ્યો હતો.
વઢિયાર પંથકમાં, પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામમાં આર્ય સેવા સંઘ દ્વારા મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજનો શુભારંભ કરાયો છે. આજના પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાયન્સ કોલેજના નવા ભવનના શુભારંભ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, વૈદિક પરંપરાના અનુસરણ અને વેદોના અધ્યયનની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી જ આપણે પૂર્ણતા તરફ આગળ વધી શકીશું. સમુદ્ર પર ગમે તેટલો વરસાદ પડે તે વ્યર્થ છે, પણ રણમાં વરસાદ પડે તો તે કલ્યાણકારી હોય છે. આર્ય સેવા સંઘે જ્યાં જરૂર છે એવા વિસ્તારમાં વિજ્ઞાન કોલેજનો આરંભ કરીને સમાજ માટે શુભકાર્ય કર્યું છે.

આજે વઢિયાર પંથકમાં પાટણ જિલ્લાનાં સમી તાલુકાના બાસ્પા ગામે આર્ય સેવા સંઘ દ્વારા મહર્ષિ દયાનંદ માસ્ટર ઓફ સાયન્સ કોલેજનો શુભારંભ કરાયો હતો. મહર્ષિ દયાનંદ વિદ્યાસંકુલ મધ્યે આયોજીત આ પ્રસંગે ગુજરાતનાં માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે પાટણ જિલ્લાના વિરલ વ્યક્તિત્વ પદ્મભૂષણશ્રી પ.પુ.સ્વામી સચિદાનંદજી પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી તેમજ પદ્મ માલજીભાઇ દેસાઈ, સંચાલક, ગાંધી આશ્રમ ઝીલીયાનું સન્માન કરવામાં આવ્યું હતુ.
બાસ્પામાં આયોજિત સમારોહમાં ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની ધરતીએ પૂજ્ય મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ઉપરાંત ઋષિ દયાનંદ સરસ્વતીજી જેવા સમાજ સુધારક મહર્ષિ પણ આપ્યા છે, જેમણે આઝાદીના આંદોલન સમયે યુવા અને જનમાનસને ક્રાંતિ માટે પ્રેરિત કર્યું હતું. સામાજિક કુરિવાજો અને દૂષણો દૂર કરીને સમાજમાંથી ભેદભાવ નાબૂદ કરી પ્રજાજનોના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. આજે એ જ પરંપરા પ્રમાણે ભારતમાં અને વિદેશમાં 1,000 થી વધુ સ્કૂલ કોલેજો અને ગુરુકુળની શૃંખલા સરળ, પવિત્ર, ધર્મિષ્ઠ, પરોપકારી અને સત્યના માર્ગે ચાલનારા યુવાનોના નિર્માણ માટે કાર્યરત છે. આર્ય સેવા સંઘ, બાસ્પા દ્વારા વિજ્ઞાન કોલેજની સ્થાપના આ દિશામાં મહત્વનું યોગદાન છે.
વર્ચ્યુઅલ સંબોધન કરતા રાજ્યપાલ યુવાનો વિશે વાત કરતા જણાવે છે કે, નિર્વ્યસની, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત અને સદાચારી યુવાનો આ દેશની સૌથી મોટી મૂડી છે. આવા યુવાનોથી સારા પરિવારનું નિર્માણ થશે. પરિવાર સારો હશે તો સમાજ શ્રેષ્ઠ બનશે. શ્રેષ્ઠ સમાજથી જ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થશે. ઋષિ દયાનંદ સરસ્વતીજી કહેતા કે, પ્રત્યેક વ્યક્તિએ તમામની ઉન્નતીમાં જ પોતાની ઉન્નતિ જોવી જોઈએ. આ માટે પ્રત્યેક વ્યક્તિ એકમેકનો સહારો બને. આ રીતે સૌએ રાષ્ટ્રની એકતા અને અખંડતા માટે સહયોગી બનવું પડશે. આવનારી પેઢીને-બાળકોને આ દિશામાં પ્રેરિત કરવા પડશે. આર્ય સમાજીઓ ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રત્યેક બાળક સુધી આ વિચાર અને ચિંતન પહોંચાડવા પ્રયત્નશીલ થાય એ સમયની માંગ છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીના મિશનને જન આંદોલન બનાવી રહ્યા છે. આજે ગુજરાતમાં ત્રણ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરિશ્માઈ કાર્યક્રમ છે. આ પદ્ધતિથી ખર્ચ ઘટશે, આવક વધશે, પર્યાવરણને ફાયદો થશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પ્રતિવર્ષ ભારત સરકારના અઢી લાખ કરોડ રૂપિયા; જે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સની ખરીદી માટે વિદેશોમાં વપરાઈ જાય છે, તે પણ બચી જશે. તમામ ખેડૂતોને કલ્યાણકારી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આર્ય વીર દળ અને આર્ય સમાજે આવા લોકકલ્યાણના જન આંદોલનોમાં આગળ આવવું જોઈએ. સામાજિક જવાબદારી માટે જાગૃત થવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું.












Click it and Unblock the Notifications
