બ્લૂવ્હેલ ગેમના આતંકને રોકવા ગુજરાત સરકારે કમર કસી
અમદાવાદમાં બ્લૂ વ્હેલ ગેમના કારણે યુવકે કરેલી આત્મહત્યા બાદ ગુજરાત સરકારે વાતની ગંભીરતાને લઈ નિર્ણય કર્યો. બ્લૂ વ્હેલ ગેમની લિંક મોકલનાર વ્યક્તિની માહિતી આપનારને સરકાર આપશે એક લાખનું ઇનામ. આ અંગે વધુ
અમદાવાદમાં બ્લૂ વ્હેલ ગેમના લીધે એક યુવાને સાબરમતીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાતમાં આ પ્રથમ બનાવ હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ગુજરાત સરકારે બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, તેમ છતાં રાજ્ય સરકારે વધુ પગલા લેતા બ્લૂ વ્હેલ ગેમની લિંક મોકલનાર વિશે માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ અંગે સરકારે હેલ્પલાઇન નંબર 079-22861917 શરૂ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સચિવ અને અને ગૃહ વિભાગને આ અંગે જાહેરનામું બહાર કાઢી ગેમ પર પ્રતિબંધ મુકવા જણાવ્યું હતુ.
નોંધનીય છે કે, બ્લૂ વ્હેલ ગેમના ઉપયોગ તથા તેમાં મદદગારી પર પ્રતિબંધ મૂકાયો છે. કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક અને સૂચના મંત્રાલય દ્વારા તમામ સર્વિસ પ્રોવાઇડરોને તેમના પ્લેટફોર્મ પરથી ગેમને દૂર કરવા વિનંતી કરાઇ છે. બીજી તરફ સરકારે ગેમ લોકો સુધી પહોંચે નહીં તેની કવાયત પણ શરૂ કરી છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની આઇટી ટીમ કામે લગાડવામાં આવી છે. બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની સાથે યુઝર્સ ગેમ ડાઉનલોડ કરી કે રમી શકે તે માટે તેની લિંક આપતા હોય તેવા 8 જેટલા યુઆરએલ પ્રાથમિક તબક્કે આઇડેન્ટિફાય કરીને બ્લોક કરાયા છે. યુવાનો અને બાળકોને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપતી આ પ્રકારની ગેમોને શોધીને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આવી ગેમ્સનું પણ મોનિટરિંગ કરીને તેને શોધવામાં આવી રહી છે. આવી તમામ ગેમ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.