ગુજરાત : કૃષિમંત્રીએ ખાતર પર ટેક્સ નાબૂદીની માંગ ફગાવી
ગુરૂવારે રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના સભ્યોએ ખેડૂતો ઉપર સિંચાઈ માટે કડક નિયંત્રણો લાદતું વિધેયક પાછું ખેંચવા, રાજ્યમાં રાસાયણિક ખાતર ઉપર 4 ટકા વેટ અને 1 ટકો એડિશનલ ટેક્સ મળીને 5 ટકાના દરે વસૂલ થતો વેરો નાબૂદ કરવા, રાજ્યના ખેડૂતોને 8 કલાકને બદલે દિવસે 14 કલાક વીજળી આપવા તેમજ સિંચાઈનું પાણી ખેંચવા માટે વીજળી આપવા રજૂઆત કરી હતી. જોકે કૃષિ પ્રધાન બાબુ બોખીરિયાએ તેમના જવાબ વખતે આ બધી માગણીઓ ફગાવી દીધી હતી.
ગુજરાતમાં ઓછા વરસાદને કારણે સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે ત્યારે ગુજરાત સરકારે હજી અછત કે અર્ધઅછતની સ્થિતિ જાહેર કરી નથી. આ ઉપરાંત કેન્દ્ર સરકારે આપેલી રૂપિયા 865 કરોડની રાહત સાચી અને યોગ્ય જગ્યાએ વપરાવવી જોઈએ તેમ પણ થયું નથી.
ખેડૂતોની સ્થિતિનો ચિતાર આપતા તાલાળાના સીનિયર કોંગ્રેસી ધારાસભ્ય જસુ બારડે એવી રજુઆત કરી હતી કે ગુજરાતમાં કૃષિ ઉપજોની કિંમતના આંકડા આપીને ખેડૂતો સધ્ધર થયા હોવાના રાજ્ય સરકાર દાવા કરી રહી છે, પણ વાસ્તવમા ખેડૂત દેવાળિયો બની ગયો છે અને દયનીય આર્થિક સ્થિતિમાં આત્મહત્યા કરવા પ્રેરાઈ રહ્યો છે, છેલ્લા 10 મહિનામાં જ રાજ્યમાં 60 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોને શુધ્ધ બિયારણ મળતું નથી, મળે છે તો ખૂબ મોંઘા ભાવે મળે છે, ઉત્પાદનના ભાવ મળતા નથી, સિંચાઈ માટે વીજળીનાં કનેક્શનો અપાતાં નથી, ખાતર ઉપર વેરો નાબૂદ કરવાની અનેક રજૂઆતો સાંભળવામાં નથી આવતી અને આવા સમયે સિંચાઈનું નવું બિલ લાવીને ખેડૂતને સરકારી બાબુઓના ગુલામ બનાવવાનું કામ આ સરકારે કર્યું છે.
બનાસકાંઠાના કોંગી ધારાસભ્ય જોઈતાભાઈ ચૌધરી પટેલે સૂચિત સિંચાઈ કાયદાને કારણે ખેડૂતોના ભાવિ અંધકારમય અને ભયથી ભરેલું હોવાનું ઉલ્લેખી જણાવ્યું હતું કે, ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સિંચાઈની સગવડો ઓછી છે ત્યારે ટયુબવેલથી પાણી ખેંચવા સસ્તાભાવે વીજળી મળવી જોઈએ. આન્ધ્રપ્રદેશમાં ખેડૂતોને મફત વીજળી અપાય છે, જો આ રીતે ગુજરાત સરકાર મફત વીજળી ના આપી શકતી હોય તો જેમ હરિયાણા-પંજાબ પ્રતિ હોર્સપાવરે રૂપિયા 100નો રેટ છે તે પ્રમાણે ગુજરાતમાં વીજદર વસુલ થવો જોઈએ.
કૃષિપ્રધાન બોખારીયાએ તેમના જવાબમાં એમ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અછતની સ્થિતિ માટે કેન્દ્ર સરકાર પાસે રૂપિયા 3958.55 કરોડ માગ્યા હતા, જેની સામે રૂપિયા 865 કરોડ મળ્યા છે, હવે બાકીની રકમ કોંગ્રેસના સભ્યોએ તેમની વગ દિલ્હીમાં વાપરી લાવી આપવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં દેવાના કારણે એકપણ ખેડૂતે આત્મહત્યા ના કરી હોવાનો દાવો કરતાં બોખીરીયાએ ખાતર ઉપરનો 5 ટકા વેરો નાબૂદ કરવાની માગ ફગાવતા એમ કહ્યું હતું કે, ગુજરાત એકલું જ ખાતર ઉપર વેરો લે છે એવું નથી, આંધ્રમાં 5 ટકા, કર્ણાટકમાં 5 ટકા, મધ્યપ્રદેશમાં 5 ટકા વેરો છે અને દિલ્હી સહિત બીજાં રાજ્યો પર આ વેરો લે છે.